સુરત,
સુરતના વરાછા અને એકે રોડ પર રહેતા સૌરાષ્ટ્રવાસીઓને ટ્રાફિકજામની સમસ્યાથી છુટકારો અપાવવા સુરત મહાનગર પાલિકાએ ઉત્કલનગર પાસે રેલવે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો.
2017માં તેનું ઉદ્ઘાટન તત્કાલિન મંત્રી નાનુભાઈ વાનાણી પાસે કરાવ્યું હતું. જોકે 15 માસની અંદર જ સુરત મહાપાલિકાના ભ્રષ્ટાચારરૂપી ખાડાઓ અને સળિયાઓએ બ્રિજમાંથી ડોકિયું કરવા માંડ્યું છે.
આ બ્રિજ આટલા ઓછા સમયમાં ખખડી જતા કોંગ્રેસના નગર સેવક દિનેશ સાવલિયા, ચારુલ કસવાળા અને સુરેશ સુહાગિયાએ મહાનગર પાલિકાના કમિશનર એમ. થૈન્નારસનને ફોટા સહ પત્ર લખી વિજિલન્સ તપાસની માંગણી કરી છે.
અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત સામે પણ પગલા લેવા રજૂઆત કરી છે. નગર સેવકોની રજૂઆત બાદ ભલે ખાડા પર ડામર નાંખી દેવાયો છે પણ તેનાથી ભ્રષ્ટ્રાચાર છુપાવાનો નથી. હવે જોવાનું એ રહયું કે આ અંગે તંત્ર કોઇ નકકર પગલાં ભરશે કે કેમ તે તો સમય જ બતાવશે. પરંતુ ભરચક વિસ્તારમાં બનેલા આ ફલાયઓવર બ્રિજનું સમયસર સમારકામ કરવામાં નહિ આવે તો સમય જતાં આ બ્રિજ જોખમકારક સાબિત થઇ શકે તેમ છે.