ભાવનગર,
ભાવનગરમાં સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો થઇ રહ્યો છે.જો આંકડાની વાત કરીએ તો સપ્ટેમ્બર 2018 થી આજ દિન સુધીમાં કુલ 132 સ્વાઈન ફ્લુ પોઝીટીવ કેસો નોંધાયા છે જે પૈકી 86 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે જયારે 31 દર્દીઓના મોત નીપજ્યા છે.
જોવાની વાત એ પણ છે કે ભાવનગરમાં છેલ્લા પાંચ દિવસમાં પાંચ દર્દીઓના મોત નીપજ્યા છે. જયારે હજુ 20 પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે.
ભાવનગર શહેર અને જીલ્લામાં ફરી સ્વાઈનના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજના દિવસે ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં 20 સ્વાઈન ફ્લુના પોઝીટીવ કેસો સારવાર હેઠળ છે જયારે 11 સ્વાઈન ફ્લુના શંકાસ્પદ કેસોની પણ સારવાર કરવામાં આવી રહી છે.
આ શંકાસ્પદ કેસોનો રીપોર્ટ આવશે એટલે જાણ થશે કે દર્દીઓ પોઝીટીવ છે કે નહીં.સર.ટી.હોસ્પીટલના ટ્રોમા સેન્ટર ખાતે સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે ખાસ 70 બેડના અત્યાધુનિક સાધનોની સજ્જ આઈસોલેશન વોર્ડમાં આ તમામ સ્વાઈન ફ્લુનો ભોગ બનેલા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.જેમાં ક્રીટીકલ દર્દીઓ માટે આઈસીયુની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ પેરામેડીકલ સ્ટાફ ને રાઉન્ડ ધ કલોક ડ્યુટી માં પણ લગાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે શંકાસ્પદ સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે અલગથી વોર્ડ માં રાખી તેની સારવાર કરવામાં આવી રહી છે.
રાજ્યમાં પણ સ્વાઈન ફ્લુથી મરનારની સંખ્યાનો આંકડો વધીને 47 ઉપર પહોંચી ગયો હતો. છેલ્લાં ૨૪ કલાકમાં જ 57 નવા કેસો સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને 955 ઉપર પહોંચી ગયો છે.