અમદાવાદઃ આજકાલ વિવિધ અભ્યાસના પરિણામ એક પછી એક જાહેર થઈ રહ્યા છે ત્યારે ગુજરાત એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ તા. 28મેના રોજ એસ.એસ.સી.નું અને તા. 31 મેના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. જ્યારે તા. 26મી મેને આવતીકાલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા પરીક્ષા ઉપરાંત ઉચ્ચત્તર માધ્યમિકની વિજ્ઞાનપ્રવાહની સેમેસ્ટર સિસ્ટમની એપ્રિલ-૨૦૧૮માં લેવાયેલી ખાસ પરીક્ષાનું પરિણામ તા. ૩૧મી મે ના રોજ સવારે આઠ કલાકે જાહેર કરવામાં આવશે.
બોર્ડ દ્વારા આ પરીક્ષાના પરિણામને જેને સવારે 8 વાગ્યાથી www.gseb.org પર પણ મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યભરમાંથી 4.75 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી.
આ પરિણામના માર્કશીટનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો પર તા. 31મેના રોજ સવારે 11 કલાકથી સાંજે 4 વાગ્યા સુધી થશે.