રાજ્યભરમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ ની કર ભરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ હોય છે ત્યારે આ વર્ષ દરમિયાન ટેક્સ પેયર્સને કર ચોરી અંગે રાજ્યના ઇન્કમટેક્ષ દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાનની કર ચોરી અંગે મંતવ્ય ન્યુઝ દ્વારા ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના ચીફ કમિશનર અનુપ કુમાર જયસ્વાલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. “જેમાં તેમણે કરદાતાઓને વહેલી તકે કર ભરી દેવા અપીલ કરી હતી. સાથે સાથે કર ચોરી કરનારને બક્ષવામાં નહીં આવે એમ પણ જણાવ્યું હતું”.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, “સરકારની સુચના બાદ રાજ્યના આયકર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ૪૭૦૦૦ કરોડ રૂપિયા કરનો ટાર્ગેટ રજુ કરવામાં આવ્યો છે. જેમાંથી ૩૨૦૦૦ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે અને બાકી કર વસુલ કરવા માટે આગામી 31 માર્ચ આઈ ટી રિટર્ન ફાઇલ માટેની ડેડલાઈન છે. વહેલામાં વહેલી તકે આઈ ટી રિટર્ન ફાઇલ થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ અંગે ડિફોલ્ટર્સને સૌ પ્રથમ નોટીસ આપવામાં આવશે જરૂર પડે તો સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીને પણ ટાર્ગેટ પૂરો કરવામાં આવશે”.