મંતવ્ય ન્યૂઝ,
સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવનાર શ્રીલંકાના શ્રેણીબદ્વ બોમ્બ ધડાકાઓમાં ગુજરાત કનેક્શન સામે આવતા સનસની મચી ગઈ છે. આ મામલામાં થયેલા ખુલાસા મુજબ બે હુમલાખોરોએ શ્રીલંકામાં હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. ગુજરાત ATSના હાથે પકડેલા હેન્ડલરમાં આ મોટો ખુલાસો થયો છે. બે વર્ષ અગાઉ શ્રીલંકામાં હુમલાનો તખ્તો ઘડાયો હતો. ભરૂચથી ઓબૈદ અને કાસીમ સ્ટિમનરવાલાની ધરપકડ કરવામાં આવી હતી. ATS દ્વારા બન્ને શખ્સોની કરવામાં આવેલી પૂછપરછમાં સમગ્ર હકીકત સામે આવી છે. બન્ને આતંકીઓ ISISના સતત સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે. તે ઉપરાંત એવો પણ ખુલાસો થયો છે કે ઓબૈદ શ્રીલંકામાં આદિલ એક્સ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. ઉલ્લેખનિય છે કે શ્રીલંકાના ગોજારા આતંકી હુમલામાં ગુજરાત કનેક્શન સામે આવતા ATS સહિતની એજેન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. આ મામલાની તપાસમાં એજેન્સીઓ દિવસ રાત એક કરી રહી છે.