હાલ ગુજરાત સરકાર દરેક ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં લોકોને 100 % શુદ્ધ પીવાના પાણી મળી રહે છે તેવો દાવો કરી રહી છે. ત્યારે સંસ્કાર નગરી ગણાતા વડોદરા શહેરમાં પીવાના પાણીને લઈને ઘણા દિવસથી સમસ્યા ચાલી રહી છે. વડોદરાની જનતા સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચી રહ્યું નથી.જેના કારણે ઝાડા, ઉલ્ટી, તાવ જેવા પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો અને લોકો મૃત્યુ પામી રહ્યા છે.
જણાવીએ કે વડોદરાના પૂર્વ અને દક્ષિણના વિસ્તારોમાં હાલમાં પણ દુષિત પાણીનુ વિતરણ કામ ચાલી રહ્યુ છે. તેમ છતાં સમસ્યા હલ નથી થઇ રહી. ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે તરસાલી ટાંકીની મુલાકાત લઇ જવાબદારો સામે ફોજદારી કેસ કરવાની માંગ કરી હતી.વડોદરામાં ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ શોધવા મથામણ કરી રહેલ મહાનગર પાલિકાનાં સત્તાધીશો દ્વારા પાણીની ટાંકીઓ સાફ કરાવવામાં આવી રહી છે.
તરસાલી વિસ્તારની પાણીની ટાંકી માંથી 6 મહિનાથી પીળું તેમજ ગંદુ પાણી વિતરણ થઈ રહ્યું છે. જેને લઈને પાલિકા દ્વારા છેલ્લાં ત્રણ દિવસથી તરસાલી ટાંકીની સફાઇ કરાવવામાં આવી રહી છે.
ટાંકીનાં સંપની સફાઇ દરમ્યાન તેમાં પણ ગંદકી 7 ઇંચ જેટલો કાદવ તેમજ કચરાનાં થર જામ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે તરસાલી ટાંકીની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી સમસ્યા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પોલીસ કેસ કરવાની માંગ કરી હતી.