વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા માળી મહોલ્લામાં આજે મિલકતના ઝઘડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. પથ્થરમારામાં ઈજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની મળતી વિગત મુજબ, શહેરના નવાપુરામાં આવેલા મહોલ્લામાં માળી સમાજનું મંદિર અને મારવાડી સમાજની વાડી આજુબાજુ આવેલા છે. છેલ્લા ઘણા સમયથી આ બંન્ને સમાજ વચ્ચે બોલાચાલી થતી હતી.
આજે સવારે મારવાડી સમાજના લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. આ સમયે માળી સમાજના લોકો ધસી આવ્યા હતા.
પેવર બ્લોકના મામલે બંન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બંન્ને જૂથ સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ચાર લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
