સરદાર સરોવર ડેમના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. નદી ડેમોમાં નવા પાણીની આવક થઇ છે. તો ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં પણ ધરખમ વધારો થયો છે.
ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમમાં સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસ માંથી 58,526 ક્યુસેક પાણીની આવક થઇ છે. આ સાથે જ ડેમની સપાટી 122.06 મીટરને પાર પહોંચી ગઇ છે.
ડેમમાં પાણીની આવક વધવાની સાથે ઉર્જા ઉત્પન્ન કરતાં CHPH પાવર હાઉસનું જે એક યુનિટ છેલ્લા કેટલાંય સમયથી ચાલુ હતું તેની જગ્યાએ હવે બે CHPH યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે.
નર્મદા કેનાલમાંથી ગુજરાતની 6 કરોડની જનતાને ફક્ત પીવા માટે જ પાણી આપવામાં આવશે તેવો આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેમની માઇનોર, સબમાઇનોર અને ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે.
કારણ કે ડેમમાં પાણીની આવક જ ન હતી અને જથ્થો પણ ઘટી રહ્યો હતો. બીજી તરફ ખેડૂતો પોતાનો પાક બચાવવા સરકારને વિનંતી કરી હતી કે પાણી ચાલુ રાખવામાં આવે જેનાથી તેમનો પાક બચી શકે.
29 ઓક્ટોબરના રોજ ઉપવાસના પાણીને કારણે 52,549 ક્યુસેક પાણીની આવક થઈ છે. ત્યારે આ વરસાદના કારણે ડેમનું જળસ્તર 120.92 મીટરની સપાટીએ પહોંચ્યું હતું. ડેમમાં પ્રતિ કલાકે 4 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો હતો. ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે