રાજકોટના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે આવેલ ગેસ્ટહાઉસમાં પટેલ યુવાને ઝેર પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસે તપાસ કરતાં મોરબી રોડ પર રહેતો યુવાન ઘરેથી કામે જવાનું કહી નીકળ્યા બાદ ગેસ્ટહાઉસમાં આ પગલું ભરી લેતાં આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જૂના એસ.ટી.બસ સ્ટેન્ડ શિવ ગેસ્ટહાઉસમાં ઉતરેલાં યુવાનનો મૃતદેહ પડયો હોવાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર ભીખાલાલ સહિતના સ્ટાફે દોડી જઈ તપાસ કરતાં મૃતક યુવાન મોરબી રોડ પર આવેલ સેટેલાઈટ ચોક પાસેના ધારા એવન્યુ પાર્કમાં રહેતો ઉમંગ ભરતભાઈ ગજેરા (ઉ.વ.26) નામનો પટેલ યુવાન હોવાનું બહાર આવતાં પોલીસે પરિવારજનોને જાણ કરતાં દોડી આવતાં પોલીસે યુવાનનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઉમંગ એક ભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું અને પિતા હયાત ન હોય, વિધવા માતા સાથે રહેતો અને સબમર્સીબલ પંપ કારખાનામા કામ કરતો હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.