અમદાવાદ,
વર્ષ ૨૦૦૪ ના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં સુનાવણી હાથ ધરાતા ખાસ અદાલત ની સમક્ષ ડીજી વણજારા અને એનકે અમીન હાજર રહ્યાં હતા. ગત સુનાવણીમાં સીઆરપીસી ની કલમ ૧૯૭ મુજબનો રિપોર્ટ રજૂ કરવા માટેનો કોર્ટનો આદેશ કરાયો હતો.
જોકે આજે સીબીઆઈ દ્વારા રિપોર્ટ માટેની રાજ્ય સરકારની મંજૂરી લેવા માટે તેમના વતી સમયની માંગ કરાઈ હતી. ખાસ અદાલતે સીબીઆઈ ની રજુઆતને માન્ય રાખીને ૨૨ મી નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
અમદાવાદમાં ખાસ અદાલતની સમક્ષ રાબેતા મુજબ ચાલી રહેલા ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં સીઆરપીસી ની કલમ ૧૯૭ મુજબની રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટનો આદેશ ગત સુનાવણી દરમિયાન કરાયો હતો.
સીઆરપીસી ની કલમ ૧૯૭ માં એવી જોગવાઈ છે કે જયારે કોઈ રાજ્ય સેવકની સામે કોઈ ફરિયાદ થઇ હોય ત્યારે તેની સામે કાયદાકીય રીતના પગલાં ભરવા માટે રાજ્ય સરકાર ની મંજૂરી મેળવવી પડે છે અને આ કેસમાં સીબીઆઈ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી મેળવવા માટે તેમના વતી સમયની માંગ કરાઈ હતી. કોર્ટે સીબીઆઈ ની રજૂઆતને માન્ય રાખી છે અને વધુ સુનાવણી આગામી ૨૨મી નવેમ્બરે હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૪ માં અમદાવાદ ના કોતરપુર વૉટર વર્કસ ખાતે ઇશરત સહીત ચાર આરોપીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ સર્જાઈ હતી.
જેમાં ચારેયના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પાછળથી સમગ્ર મામલો ખોટો ઉભો કરવામાં આવ્યો હોય તેવો તીખો આક્ષેપ કરાયો હતો. જેને લઈને કેસની તપાસ સીબીઆઈ ને સોંપવામાં આવી હતી. અને આ કેસમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરાઈ હતી જોકે કોર્ટે તે ફગાવી હતી.