ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. 2 દિવસમાં ઢોલીવુડે એક સાથે બે સારા કલાકારો ગુમાવ્યા છે. ઢોલીવુડની નરેશ-મહેશની જાણીતી જોડી હવે આપણી વચ્ચે નથી રહી. બંને ભાઈઓએ આ ફાની દુનિયાને અલવિદા કહી છે. એક સાથે બે મહાન કલાકારોએ દુનિયાને અલવિદા કહેતા સમગ્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં શોક વ્યાપી ગયો છે.
આપને જણાવી દઈએ કે, ગુજરાતી ફિલ્મ કલાકાર નરેશ કનોડિયાનું કોરાનાથી નિધન થયું છે. યુએન મહેતા હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ 77 વર્ષીય ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો હતો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.
નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે.
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાયું હતું. અને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયાએ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.