કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો જેમાં 1 જૂનથી દેશભરમાં માત્ર બીઆઈએસની હોલમાર્ક વાળી જ્વેલરી જ વેંચાશે. પરંતુ કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે આ ડેડલાઈન લંબાવી છે. સરકારે 15 જૂન 2021થી હોલમાર્ક ફરજિયાત કર્યું છે. એટલે કે જો હવે તારીખ આગળ લંબાશે નહીં તો દેશમાં 15 જૂનથી હોલમાર્કવાળા જ ઘરેણા વેંચાશે અને તેમાં છેતરપિંડીને કોઈ અવકાશ જોવા નહિ મળે .
આપને જણાવી દઈએ કે વેપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈંડિયા ટ્રેડર્સ અને જ્વેલરી ઈંડ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ સરકાર પાસે હોલમાર્કિંગ લાગૂ કરવા 1 જૂન 2021ની તારીખ લંબાવવા માંગ કરી હતી. તેવામાં સરકારે તેમની માંગને સ્વીકારી છે. તેમનું કહેવું હતું કે તારીખ લંબાવવામાં આવે તો તેમને નવી વ્યવસ્થાની તૈયારી કરવા સમય મળે. આ સાથે જ સરકારે 15 જૂનથી નવી વ્યવસ્થા લાગૂ કરવા માટે એક સમિતિ પણ બનાવી છે. આ સમિતિ હોલમાર્કિંગ સંબંધિત મુદ્દાનું સમાધાન કરશે.
નોધનીય છે કે હોલમાર્કિંગને લાગૂ કરવા આ પહેલા પણ તારીખ મુલ્તવી રાખવામાં આવી ચુકી છે. આ પહેલા જાન્યુઆરી 2021માં તેને લાગૂ કરવાનું હતું પરંતુ કોરોનાના કારણે તે સમયે ડેડલાઈન 1 જૂન કરવામાં આવી હતી. હવે ફરીવાર કોરોનાના કારણે આ ડેડલાઈન 15 દિવસ વધી છે.