Ghost Town India: તમિલનાડુમાં રામેશ્વરમથી થોડે જ દૂર આવેલું ‘ધનુષકોડી’ (Dhanushkodi) ભારતનું એક એવું સ્થળ છે જે જેટલું સુંદર છે એટલું જ રહસ્યમયી પણ છે. ભારત અને શ્રીલંકાની સરહદ પર વસેલું આ શહેર એક સમયે ધમધમતું બંદર હતું, પરંતુ આજે તેને ‘ભૂતિયા શહેર’ (Ghost Town) તરીકે ઓળખવામાં આવે છે. અહીંની કુદરતી સુંદરતા કોઈ સ્વર્ગથી ઓછી નથી, તેમ છતાં પ્રશાસન દ્વારા સૂર્યાસ્ત પછી અહીં રોકાવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. ધનુષકોડીના ઈતિહાસ અને રહસ્ય પાછળના મુખ્ય કારણો.
1964 નું એ ભયાનક વાવાઝોડું
22 ડિસેમ્બર, 1964 ની રાત્રે આવેલા એક ભયાનક ચક્રવાતે આ આખા શહેરને તહસ-નહસ કરી નાખ્યું હતું. દરિયાના વિશાળ મોજાઓએ આખા શહેરને પોતાની લપેટમાં લઈ લીધું, જેમાં એક પેસેન્જર ટ્રેન પણ ગરકાવ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં હજારો લોકોના મોત થયા હતા. ત્યારથી ભારત સરકારે આ શહેરને ‘રહેવા માટે અયોગ્ય’ જાહેર કરી દીધું છે.
પૌરાણિક મહત્વ: રામસેતુનું ઉદ્ગમ સ્થાન
ધનુષકોડીનું (Dhanushkodi) ધાર્મિક મહત્વ પણ ઘણું છે. માનવામાં આવે છે કે ભગવાન રામે સીતા માતાને બચાવવા માટે લંકા સુધીનો સેતુ (રામસેતુ) અહીંથી જ બનાવવાનું શરૂ કર્યું હતું. ‘ધનુષકોડી’ નામનો અર્થ થાય છે ‘ધનુષનો છેડો’. કહેવાય છે કે રાવણ પર વિજય મેળવ્યા બાદ વિભીષણના કહેવા પર પ્રભુ રામે પોતાના ધનુષના એક છેડાથી સેતુનો નાશ કર્યો હતો.
સૂર્યાસ્ત પછી પ્રવેશ પર કેમ છે પ્રતિબંધ?
આજે પણ ધનુષકોડીમાં (Dhanushkodi) જૂની રેલ્વે લાઈનો, ચર્ચ અને હોસ્પિટલના ખંડેરો જોવા મળે છે. રાત્રિના સમયે અહીં કોઈ લાઈટ કે વસ્તી નથી. સમુદ્રની બંને બાજુથી આવતા જોરદાર પવનો અને ભરતીના જોખમને કારણે સુરક્ષાના હેતુથી પ્રવાસીઓને સાંજે 6 વાગ્યા પછી અહીંથી રામેશ્વરમ પરત મોકલી દેવામાં આવે છે. સ્થાનિક લોકોમાં એવી પણ માન્યતા છે કે રાત્રે અહીં ડરામણી ઘટનાઓ બને છે.
બે સમુદ્રનું અદભૂત મિલન
ધનુષકોડી (Dhanushkodi) એ જગ્યા છે જ્યાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર (હિંદ મહાસાગર) મળે છે. એક બાજુ દરિયો એકદમ શાંત છે, તો બીજી બાજુ મોજાઓનો ભારે અવાજ સંભળાય છે. આ નજારો પ્રવાસીઓ માટે મંત્રમુગ્ધ કરનારો હોય છે. અહીંની રેતી અને વાદળી પાણી તમને માલદીવ જેવો અનુભવ કરાવશે.
Dhanushkodi કેવી રીતે પહોંચવું?
રામેશ્વરમથી ધનુષકોડી આશરે 18-20 કિમી દૂર છે. તમે ટેક્સી કે બસ દ્વારા અહીં પહોંચી શકો છો. છેક છેવાડાના બિંદુ (Arichal Munai) સુધી જવા માટે હવે પાકો રસ્તો બની ગયો છે, જ્યાંથી શ્રીલંકાની સરહદ માત્ર 31 કિમી દૂર રહી જાય છે.
આ પણ વાંચો:ગોવાના બીચ છોડીને યુવાનો કેમ દોડી રહ્યા છે ગંગા આરતી જોવા? જાણો બદલાતા ટ્રેન્ડ પાછળના કારણો
આ પણ વાંચો:જયપુર સફરમાં મિસ ન કરતા મણિહાર કા રસ્તા, જ્યાં પથ્થર જેવી લાખમાંથી બને છે અદભૂત ઘરેણાં


