છેલ્લાં પાંચ દિવસથી ગાયબ થઇ ગયેલાં HDFC બેંકના વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવીની લાશ સોમવારે કલ્યાણનાં હાજી મલંગ વિસ્તારમાંથી મળી આવી હતી. સિદ્ધાર્થ ગઈ 5 સપ્ટેમ્બરથી મુંબઈ સ્થિત કમલા મિલ્સ ઓફિસથી ગાયબ હતા.પોલીસે એમની હત્યાનાં આરોપમાં ચાર લોકોને હિરાસતમાં લઇ લીધા હતા. જેમાં એક કેબ ડ્રાઈવર સરફરાજ શેખ પણ શામિલ છે.
જોકે હત્યા શું કામ કરવામાં આવી એ વાતને લઈને હજી અવઢવ ચાલી રહી હતી પરંતુ આ વાતને લઈને કેબ ડ્રાઈવર શેખે ખુલાસો કર્યો હતો. 20 વર્ષનાં કેબ ડ્રાઈવર શેખે પોલીસને જણાવ્યું કે એને ચાર લોકોએ હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો જેમાં એક મહિલા પણ હતી. મળેલી માહિતી અનુસાર, એમણે વધુ તો કઈ જણાવ્યું નથી પણ એટલું જણાવ્યું છે કે એમાંના બે લોકો HDFCમાં પહેલાં કામ કરી ચુક્યા છે અને તેઓ સિદ્ધાર્થની સફળતા અને જલ્દી થયેલાં પ્રમોશનથી ચિડાઈ ગયા હતા. આ જ કારણે તેઓ સિદ્ધાર્થને મારવા ઈચ્છતા હતા.
39 વર્ષનાં સિદ્ધાર્થ સાઉથ મુંબઈનાં વૈભવી વિસ્તાર મલબાર હિલ્સમાં પોતાની પત્ની અને આઠ વર્ષનાં દીકરા સાથે રહેતાં હતા અને તેઓ ઘણી ઝડપે પોતાનાં કરિયરમાં આગળ વધી રહ્યાં હતા. તેઓ 2007થી બેંકમાં જોડાયા હતા.
સિદ્ધાર્થના મિત્રો અને પરિવારના સભ્યો શરૂઆતથી દાવો કરી રહ્યાં હતા કે સિદ્ધાર્થ ખુબજ સહજ અને કોમળ સ્વભાવનાં હતા અને એમનો ક્યારેય કોઈ સાથે ઝગડો નથી થયો. એટલે હવે પોલીસ પણ એમ માનીને આગળ વધી રહી છે કે એમની હત્યા વ્યવસાયિક દુશ્મની અથવા ઈર્ષ્યાને કારણે થઇ છે.
આ મર્ડર મિસ્ટ્રીમાં વળાંક ત્યારે આવ્યો હતો જયારે સિદ્ધાર્થનો મોબાઈલ, ગાયબ થવાના બીજા દિવસે 6 સપ્ટેમ્બરે કોપરખૈરાન વિસ્તારમાંથી મળ્યો અને આ બાબતે પરિવારનાં સભ્યોએ જણાવ્યું કે સિદ્ધાર્થ આ પહેલાં ક્યારેય એ જગ્યાએ ગયો નથી અને તે ત્યાં કોઈને ઓળખતો પણ નથી. આ ઉપરાંત પરિવારે જણાવ્યું હતું કે સિદ્ધાર્થને કોઈ ધમકી નથી મળી અને કોઈ સાથે હાલમાં ઝગડો પણ નથી થયો.
પોલીસે આપેલી માહિતી અનુસાર, લોકોએ સિદ્ધાર્થને છેલ્લી વખત બુધવાર સાંજે કમલા મિલ્સની ઓફિસમાં લગભગ 8:૩૦ વાગ્યે ઘર જવા માટે નીકળતો જોયો હતો. પરંતુ તેઓ ઘર પહોચ્યાં ન હતા.તપાસ દરમ્યાન સીસીટીવી ફુટેજ પણ સામે આવી છે. એ ફુટેજમાં આખરી વાર સિદ્ધાર્થની ગાડીમાં ત્રણ લોકો હાજર હતા. ગાડી જયારે મળી ત્યારે એમાં લોહીનાં નિશાન મળ્યા હતા અને સીટ પર ચાકુ પણ મળ્યું હતું.