દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલમાં વિદર્ભનાં પશ્ચિમ ભાગોમાં લો પ્રેશર એરિયા બની રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાક દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ચેતવણી જારી કરતી વખતે, IMD એ કહ્યું છે કે આ વરસાદ 15 સેમીની આસપાસ પણ હોઈ શકે છે. વળી બીજી તરફ આસામમાં ભારે વરસાદનાં કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે.
આ પણ વાંચો – કોરોનાને ખુલ્લુ આમંત્રણ / ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, દરવાજા બંધ કરવાની ફરજ પડી
આપને જણાવી દઇએ કે, આસામમાં સતત વરસાદનાં કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. ફ્લડ રિપોર્ટિંગ અને ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમનાં રિપોર્ટ અનુસાર, 21 જિલ્લાનાં 950 થી વધુ ગામો પૂરથી સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે. આસામમાં પૂર અને વરસાદને કારણે 3,63,135 લોકો પ્રભાવિત થયા છે. રાજ્યએ 30 ઓગસ્ટ સુધી 44 રાહત કેમ્પ ખોલ્યા છે. જ્યાં પૂર પીડિતો આરામથી રહી શકે છે. પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો આસામનો લખીમપુર છે. જ્યાં 1.3 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. બીજો સૌથી વધુ પ્રભાવિત જિલ્લો માજુલી છે, જ્યાં 65 હજાર લોકો પીડિત છે. ત્રીજો જિલ્લો દરાંગ છે, જ્યાં લગભગ 41 હજાર લોકો પૂરથી પ્રભાવિત છે. આસામનાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
હિમંત બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂરની સ્થિતિ જાણવા માટે ફોન કર્યો હતો અને આસામને તેની આ પરિસ્થિતિ લડવા માટે તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. ડેઇલી બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે એટલે કે 30 ઓગસ્ટનાં રોજ આસામમાં પૂરની સ્થિતિ ફરી વણસી છે. જેમાં 17 જિલ્લાઓમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) અનુસાર, બારપેટા જિલ્લાનાં ચાંગા અને મોરીગાંવનાં માયોંગમાં એક -એક બાળક પૂરનાં પાણીમાં ડૂબી ગયો. આસામમાં પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં બારપેટા, વિશ્વનાથ, કછાર, ચિરાંગ, દરાંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, પશ્ચિમ કાર્બી આંગલોંગ, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબાડી, શિવસાગર, સોનિતપુર, દક્ષિણ સલમારા અને તિનસુકિયા.
આ પણ વાંચો – સાવધાન! / અમેરિકામાં ડેલ્ટા વેરિઅન્ટનો કહેર સતત વધ્યો, ઓક્સિજન અને બેડની ભારે અછત
મુંબઈમાં ઘણા વિસ્તારોમાં વરસાદને લઇને IMD એ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે મંગળવારે સવારે મુંબઈ અને આજુબાજુનાં વિસ્તારોમાં મધ્યમથી તીવ્ર વરસાદની આગાહી કરી છે. પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને મુંબઈ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીની સાથે કેટલાક વિસ્તારોમાં પવનનાં ઝાપટા પણ પડ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુંબઈનાં રડારનાં છેલ્લા કેટલાક કલાકો સૂચવે છે કે મુંબઈ, થાણે, પાલઘર અને આજુબાજુનાં સ્થળો પર મધ્યમથી તીવ્ર વાદળ છવાયેલું છે.