1. હિન્દીના ફાંફા છે, ગુજરાતીમાં બોલો
ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાત ખાનગી યુનિ. સુધારા વિધેયક પરના તેમના વિચારો અંગ્રેજીમાં રજૂ કર્યા હતા. તેમનું અંગ્રેજી વક્તવ્ય શરૂ થતાં જ કોંગ્રેસના જ ધારાસભ્ય લલિત વસોયાએ ગેલેરીમાં બેઠા બેઠા કોમેન્ટ કરી કે, હિન્દીના પણ અમારે ફાંફા છે, તમે ગુજરાતી માં બોલો. તેમની કૉમેન્ટથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કિરીટ પટેલે કહ્યું કે, અગાઉ ભાજપના દુષ્યંત પટેલ અંગ્રેજીમાં વક્તવ્ય આપી ચુક્યા છીએ તો અમે પણ બોલીએ ને. અધ્યક્ષ નીમાબેન આચાર્યએ હસતા હસતા કહ્યું કે, અમે નહિ પણ તમારા જ સભ્યો ના પાડે છે. જોકે અડધેથી કિરીટ પટેલે ગુજરાતી માં તેમના વિચારો રજૂ કર્યા હતા.
2. પૂર્વ અધ્યક્ષ સામે વિપક્ષ ન ફાવ્યો
પૂર્વ અધ્યક્ષ અને હાલ સરકારમાં નં.2 મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ વિભાગ પણ સંભાળે છે. નાંદોદના ધારાસભ્ય પ્રેમસિંહ વસાવાએ નર્મદા જિલ્લામાં ખાનગી હોટલોને ફાળવવામાં આવેલ જમીન મામલે પ્રશ્ન કર્યો હતો. પ્રશ્નોત્તરીકાળમાં મુખ્ય સવાલ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ પેટા પ્રશ્નો પૂછતાં મહેસૂલમંત્રી એ સિફતપૂર્વક જવાબ ટાળ્યો હતો. તેઓ છાપેલા જવાબને વળગી રહયા હતા અને જવાબમાં એક જ વાત કરતા હતા, હું છપાયેલા ટેક્નિકલ જવાબને વળગી રહું છું અને નવા સવાલ માટે નવેસરથી નોટિસ આપીને જ સવાલ કરી શકાય. તેમના આ ટેક્નિકલ જવાબ સામે વિપક્ષના સભ્યોની તેમની પાસેથી જવાબ લેવાની તમામ ટેક્નિક નિષ્ફળ ગઈ હતી.
3. રૂપાણી સરકાર કરાર આધારિત હતી: ધાનાણી
ગુજરાત ખાનગી યુનિ. સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન કરાર આધારિત અને આઉટસોર્સિંગવાળા શિક્ષકનો મુદ્દો આવ્યો હતો. એ સમયે વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ વ્યંગ કરતા કહ્યું કે, નીતિનભાઈ અને રૂપાણીની સરકાર કરાર આધારિત હતી એટલે કરાર ક્યારે પૂરો થઈ ગયો એ ખબર જ ના પડી. અમારા જવાહરભાઈ (ચાવડા) અને કુંવરજીભાઇ (બાવળીયા) નું કામ આઉટસોર્સિંગ જેવું છે. તેમના આ વ્યંગથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
4. રૂપાણી સરકારના નિર્ણયો નવી સરકાર બદલે છે: કગથરા
ગુજરાત ખાનગી યુનિ. સુધારા વિધેયક પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના લલિત કગથરાએ ચર્ચામાં ભાગ લેતા કટાક્ષમાં જણાવ્યું કે, રૂપાણી સરકાર ખાનગી યુનિ. વિધેયક લાવેલી અને હવે નવી સરકાર અગાઉની સરકારના નિર્ણયમાં ફેરફારો કરી રહી છે તે બદલ અભિનંદન.
5. સરકાર ચમરબંધી ને નહિ છોડે: બ્રિજેશ મેરજા
બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના બાંધકામ સાઇટ પર શ્રમિકો ના અકસ્માતે મોતના સવાલના જવાબમાં શ્રમમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, એકપણ શ્રમિકને અકસ્માતે મોતની ઘટનામાં અન્યાય નહિ થવા દઈએ. અમે ચમરબંધીને પણ નહીં છોડીએ. તેમના આ શબ્દને પકડીને કોંગ્રેસના શૈલેષ પરમારે કટાક્ષ કરતા કહ્યું કે, તમારી સરકાર ચમરબંધીને પણ નથી છોડતી એ તો અમે નજીકના ભવિષ્યમાં જ જોયું.
6. જીતુભાઇ બધાયમાં ઊભું નો થવાય
નવનિયુક્ત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો જ્યારે પણ સરકાર પર આક્ષેપ કરે કે તરત એમના શબ્દો સામે વાંધો ઉઠાવતા હતા. ખાનગી યુનિ. સુધારા વિધેયકની ચર્ચા દરમિયાન કોંગ્રેસના પ્રતાપ દુધાતે શિક્ષણ માફિયા શબ્દ વાપરતા જીતુ વાઘાણીએ તે શબ્દો રેકર્ડ પરથી દૂર કરવા માગણી કરતા કોંગ્રેસના લલિત કગથરાએ તરત કોમેન્ટ કરી, જીતુભાઇ બધાયમાં ઉભું નો થવાય. આ જ ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નૌશાદ સોલંકીએ પણ જીતુ વાઘણીનું નામ લઈ કવિતાના સુરમાં કહ્યું કે, બધી વાતમાં ઉભા થતા જીતુભાઈને મારે કહેવાનું કે “લોકશાહીના મૂલ્યોમાં શાણા થઈને સાંભળવાની તૈયારી રાખજો, જાગે છે ગુજરાતની જનતા તૈયારી રાખજો.”
7. હવે દાદાનો દાણો દબાવ્યો છે:ધાનાણી
ખાનગી યુનિ. સુધારા વિધેયક પરની ચર્ચા માં ભાગ લેતા પરેશ ધાનાણી એ શાયરાના અંદાઝમાં જણાવ્યું કે, ભાજપે પહેલા બાપાને (કેશુભાઈ) હાંકી કાઢ્યા, બેનને (આનંદીબેન) બહાર મોકલી દીધા, કાકાને (નીતિન પટેલ) પરાણે કચડી નાખ્યા અને હવે દાદા (ભૂપેન્દ્ર પટેલ)નો દાણો દબાવ્યો છે…
8. ગૃહમંત્રી પહેલા જ દિવસે વિપક્ષની અડફેટે ચઢ્યા
સત્રના પ્રથમ દિવસે જ યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી વિપક્ષની અડફેટે ચઢ્યા હતા. પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠેથી તાજેતરમાં ઝડપાયેલા હેરોઇનનો મુદ્દો ઉઠતા કોંગ્રેસના વિરજી ઠુમ્મરે આ મુદ્દે કેટલાક સવાલો કર્યા હતા. જેના જવાબમાં હર્ષ સંઘવી એ કહ્યું કે, કોંગ્રેસ પોલીસની કામગીરી બિરદાવવાને બદલે ખોટા સવાલ કરે છે, એ બદલ કોંગ્રેસે શરમાવું જોઈએ. ગૃહમંત્રીના આ નિવેદનથી કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો. કોંગ્રેસના અમિત ચાવડાએ ગૃહમંત્રીને રોકડું પરખાવતા અધ્યક્ષને સંબોધીને કહ્યું કે, ગૃહમાં પ્રથમ વખત બોલી રહેલા યુવા મંત્રીને વિદ્વાન એવા પ્રદિપસિંહ જાડેજાના સ્થાને તક મળી છે ત્યારે તેમણે ગૃહની ગરીમા જળવાય તેવા શબ્દો વાપરવા જોઈએ. ગલીમાં વાતચીત કરતા હોય તેવા શબ્દો ગૃહમાં ન વાપરી શકાય.
GOA / માત્ર મમતા જ ભાજપને પડકારી શકે છે : ગોવાના પૂર્વ
મેઘકહેર / ગોંડલમાં રીક્ષા તો જામજોધપુરમાં બળદગાળા સાથે ખેડૂત તણાયો
હુમલો / ભાજપના ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે ભવાનીપુરની પેટા ચૂંટણી રદ કરવા માંગ, મારા પર હુમલો અને કાર્યકર્તા સાથે મારપીટ
ગુજરાત / ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાશે – કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ