MANTAVYA Vishesh/ અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધાનો ભોગ મહિલાઓ ક્યાં સુધી?

આપણો દેશ એ પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે ત્યારે તેનાથી વિપરિત અંધશ્રદ્ધાના નામે બનતી હેરાનગતિ અને મારપીટની ઘટનાઓ આપણા દેશના ઘણા લોકોની પોકળ માનસિકતા છતી કરે છે.

Mantavya Exclusive
Untitled 52 1 અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધાનો ભોગ મહિલાઓ ક્યાં સુધી?

આઝાદીના વર્ષો પછી પણ આજેપણ આપણો સમાજ અંધશ્રદ્ધાના ખાડામાંથી બહાર આવી શક્યો નથી. ધીરે ધીરે આપણો દેશ એ પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે ત્યારે તેનાથી વિપરિત અંધશ્રદ્ધાના નામે બનતી હેરાનગતિ અને મારપીટની ઘટનાઓ આપણા દેશના ઘણા લોકોની પોકળ માનસિકતા છતી કરે છે. એક તરફ અવકાશ તરફ ગતિ કરવાના સમાચાર આપણને ખુશ કરી રહ્યા છે તો બીજી તરફ અંધશ્રદ્ધાના સમાચાર આપણી ખુશીને દુઃખમાં બદલી રહ્યા છે. આ એક વિચિત્ર દુવિધા છે જેમાં આપણો સમાજ અને દેશ કચડાઈ રહ્યો છે.એ પણ વિચારવા જેવી છે કે સમયની સાથે વિજ્ઞાનના વિકાસ પછી જે ઠાઠમાઠ અને અંધશ્રદ્ધા ખતમ થવી જોઈતી હતી તે આજ સુધી થઈ નથી. બલ્કે એ દુઃખની વાત છે કે આધુનિક અને શિક્ષિત પેઢી પણ આ માર્ગનું આંધળું અનુકરણ કરી રહી છે. જેનું ઉદાહરણ એ કેરળમાં ડોક્ટર દંપતિએ કરેલ કૃત્ય છે. કાળો જાદુ, ભૂતપ્રેત, માનવ અને પશુઓની બલિ, મેલીવિદ્યા, બાળ લગ્નથી માંડીને કાચ તોડવા, બિલાડીનો રસ્તો, બિલાડીની પીઠ અને અનેક ગાણિતિક સંખ્યાઓ પણ અંધશ્રદ્ધાના દૃષ્ટિકોણથી ચકાસવામાં આવી રહી છે. પણ અ બધા માંથી દુઃખદ અને ધ્રુણા પમાડનાર બાબત એ છે કે દરેક વખતે અંધશ્રદ્ધાનો ભોગ સ્ત્રીઓ જ શા માટે? શા માટે ચુડેલ, ડાકણ જેવા શબ્દ અને તેની બીકના નામે સ્ત્રીઓને જ મોતને ઘાટ ઉતારી તેની બલી ચડાવવામાં આવે?

અંધશ્રધ્ધા કઈ રીતે શરુ થાય છે?
તેના વિશે જાણવા માટે મનોવૈજ્ઞાનિક સ્કીનરનો પ્રયોગ સમજવા જેવો છે જેણે કબુતર પર પ્રયોગ કરેલ હતો. જે પ્રયોગ કર્યો હતો તેમાં એક પ્રકારનું જોડાણ કે સાહચર્ય સ્થાપિત થતું જોવા મળ્યું અને અંતે જેટલા કબૂતરો હતા તેમાંથી ત્રીજા ભાગના કબૂતરો અંધવિશ્વાસી જોવા મળ્યા. સતત અમુક બાબતો વારંવાર આપણી સામે આવે અને તેમાં અમુક વર્તન જોવા મળે ત્યારે મન એ બાબત કરવા માટે સ્વીકાર કરતુ હોય છે.

વ્યક્તિ અંધવિશ્વાસી શા માટે બને છે?
(1)પરિસ્થિતિ પર નિયંત્રણ મુકવા માટે
(2) પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે
(૩) લાચારી અને શક્તિહીનતાની લાગણી ઓછી કરવા માટે
(4) મુશ્કેલીનો સામનો કરવા કરતા અંધવિશ્વાસનો રસ્તો સરળ થઈ જાય છે
(5) પોતાનાથી નબળા લોકો પર પોતાનો હુકમ ચલાવવા
(6) ખાસ કરીને સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા

સમાજના ઘણા લોકો અંધશ્રદ્ધાની આગમાં સળગી રહ્યા છે
આજેપણ ઘણા સમાજમાં અંધવિશ્વાસના નામે સ્ત્રીઓનો ભોગ લેવાય છે. આજે પણ મેલીવિદ્યાના નામે મહિલાઓના શરીર સાથે વિવિધ યુક્તિઓ અજમાવવામાં આવી રહી છે.ડાકણ હોવાનો ઢોંગ કરીને કેટલીય મહિલાઓની હત્યા કરવામાં આવશે?અંધવિશ્વાસના જે કેસોમાં મહિલાઓની હત્યા થાય તેમાં મોટા ભાગના કિસ્સા પાછળ મિલકતનો વિવાદ અથવા તો આવી હત્યા પાછળ કોઈ કુટંબની સમસ્યાઓ હોય છે,

ગુલામીમાં સ્ત્રીઓનો આત્મવિશ્વાસ નબળો
ગુલામીની સાંકળોથી સ્ત્રીઓનો આત્મવિશ્વાસ નાશ પામે છે. સ્ત્રીઓ દ્વારા રાખવામાં આવતા મોટા ભાગના ઉપવાસ પુરુષોની સુખાકારી માટે હોય છે. તેઓ પુરુષોના હિતમાં પોતાનું હિત જોવે છે. “સ્ત્રીનો જન્મ એક વખત નહી પણ અનેક વખત થતો હોય છે” આ બાબત સ્ત્રીઓને માનસિક અને શારીરિક રીતે દબાવવામાં આવતી વાસ્તવિકતા પણ છતી કરે છે. ઘણા એવું માને છે કે મહિલાઓ શારીરિક રીતે પુરુષો કરતાં નબળી હોય છે પરંતુ સ્ત્રીઓ શારીરિક રીતે નબળી જન્મતી નથી, પરંતુ વાલીપણા દરમિયાન થતા ભેદભાવ અને વિવિધ સ્તરના નિયંત્રણો તેમને નબળા પાડે છે.જો કે, કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળા હોવાનો અર્થ એ નથી કે કોઈ મજબૂત વ્યક્તિ તેનું શોષણ કરી શકે છે. જો સ્ત્રીઓ શારીરિક રીતે નબળી જન્મે તો પણ પુરુષોને તેમનું શોષણ કરવાનું લાયસન્સ નથી એક તરફી વર્ચસ્વ ધરાવતા આપણા સમાજમાં અંધવિશ્વાસનો ભોગ એ મહિલાઓ બનતી આવી છે.

અંધશ્રદ્ધાના વાહક કોણ છે?
ઘણી બધી જગ્યાએ પુરૂષો પણ વ્રત, ઉપવાસ, પૂજા-પાઠ, કર્મકાંડ, વાસ્તુ, જાદુ, મેલીવિદ્યા અને આવી બધી બાબતો કરે છે. પરંતુ સ્ત્રીઓને અંધશ્રદ્ધાની વાહક જાહેર કરવામાં આવતી હોય છે. તેનાથી પણ વધુ વિચિત્ર વાત એ છે કે પુરુષો અને સ્ત્રીઓ બંનેનો એક વર્ગ મેલીવિદ્યામાં માને છે, પરંતુ તેની સાથે સંકળાયેલી હત્યાનો ભોગ બનેલી મોટાભાગની મહિલાઓ છે. વધુ રસપ્રદ વાત એ છે કે અંધશ્રદ્ધાના આધારે આ હત્યાઓ કરનારાઓમાં પુરુષોની ભૂમિકા ઘણી જગ્યાએ મુખ્ય હોય છે.

આર્થિક સદ્ધરતા પણ આ અંધવિશ્વાસ કે મેલી વિદ્યા રોકી શકતી નથી
આર્થિક રીતે શ્રીમંત માણસો પણ અંધશ્રદ્ધાના ઢોલ જોરથી વગાડી રહ્યા છે. બીજું, સ્ત્રીઓની આર્થિક સમૃદ્ધિએ પણ તેમને સદીઓની માનસિક ગુલામીમાંથી હજુ સંપૂર્ણ મુક્તિ અપાવી નથી. જ્યારે સમાજને ચલાવનાર પુરૂષો અંધશ્રદ્ધાળુ હોય છે ત્યારે પીડિત એટલે કે મહિલાઓ પણ તેનો ભોગ બને છે. શિક્ષિત મહિલાઓની અંધશ્રદ્ધા અંગે પણ વિચાર કરવો જરૂરી છે કે આવા પ્રશ્નો માત્ર મહિલાઓ માટે જ ન હોવા જોઈએ. બસ, આ સમસ્યા માત્ર શિક્ષણ દ્વારા ઉકેલી શકાતી નથી. આ માટે તર્કસંગત શિક્ષણ અને લિંગ સમાનતાની જરૂર છે.આજે અંધશ્રદ્ધા, દંતકથાઓ અને સ્યુડો-વૈજ્ઞાનિક તથ્યોમાં ભારે વધારો થયો છે. આજે આપણી જરૂરિયાતોને અનુરૂપ ન હોય તેવા ખોટા પરંપરાગત રિવાજોને પણ માત્ર પરંપરાના નામે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેમ જેમ છોકરી મોટી થાય છે તેમ તેમ આપણે મોટાભાગે વડીલોને કહેતા સાંભળીએ છીએ કે મોટી થતી છોકરીઓએ શું કરવું? શું કરવાથી સારું ઘર મળશે? કઈ વિધિથી કે કઈરીતે સારો પતિ મળશે? જો આ બધું કરવાથી કે અંધવિશ્વાસથી બધું જ સારું થતું હોય તો જ્ઞાન અને વિજ્ઞાનની શું ઉપયોગિતા?

માહિતી ક્રાંતિના યુગમાં આપણે ભલે અવકાશ અને ચંદ્ર પર વસાહત સ્થાપવાનું વિચારતા હોઈએ, પરંતુ અંધશ્રદ્ધા હજુ પણ આપણો પીછો નથી છોડી રહી. વૈજ્ઞાનિક યુગના વધતા જતા પ્રભાવ છતાં સમાજમાંથી અંધશ્રદ્ધાના મૂળ ઉખડી રહ્યા નથી. અંધશ્રદ્ધા દૂર કરવા માટે કેટલાક લોકો વર્ષોથી પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આ પ્રયાસોનું હજુ સુધી કોઈ ફળ મળ્યું નથી.

ખોટી પરંપરા
અંધશ્રદ્ધા લોકોના અત્યાચાર, હત્યાનું કારણ બની રહી છે. તેની શરૂઆત પાખંડીઓ અને તાંત્રિકોના ખરાબ ઈરાદાઓ અને ખોટી સલાહથી થાય છે. ઘણી જગ્યાએ કેટલીક ખોટી પરંપરાઓ પણ આગમાં ઘી નાખવાનું કામ કરે છે.એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ અંધશ્રદ્ધાને લગતી ઘટનાઓનો પર્દાફાશ થાય છે, ત્યારે દરેક વ્યક્તિ ચોક્કસપણે દુ:ખ વ્યક્ત કરે છે. પણ એ દુઃખ બહુ વધુ સમય માટે નથી રહેતું.

શા માટે મહિલાઓ જ ભોગ બને?
સ્ત્રીઓ માટે દરેક ડગલે અને પગલે નવા નવા નીતિ નિયમો, બંધન, કાયદાઓ, ફરજો બજાવવાની હોય છે. જયારે એ મુજબ વર્તન ન થાય ત્યારે તે આ પ્રકારની બાબતનો ભોગ બને છે. ઘણી વખત સ્ત્રીને સંતાનમાં પુત્ર જોઈરતો હોય અને પુત્ર ન થાય ત્યારે આવા અંધવિશ્વાસમાં તે આગળ વધે છે. સ્ત્રીના જન્મથી શરુ કરીને, ગર્ભાવસ્થા અને મૃત્યુ સુધી કેટલીય અંધવિશ્વાસની આગો સળગતી રહે છે.

અંધશ્રદ્ધાની શરૂઆત
અંધશ્રદ્ધા ત્યારે રચાઈ હશે જ્યારે કોઈ ઘટના વિશે લોકોને સાચી સમજ નહી હોય તે સમયે તેનો જવાબ મળ્યો નહી હોય. ત્યારે એ બાબત વિશે ખોટી વાતો કે અંધ વિશ્વાસ ફેલાયેલ હશે.

અંધશ્રદ્ધાની ભયાનકતા
અંધશ્રદ્ધા એવા સમયે ભયાનક સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે આપણે અંધશ્રદ્ધાના નામે સ્ત્રીને ડાકણ કે ચુડેલ સાબિત કરીએ છીએ. માનસિક બીમારીઓને ભૂતની છાયા તરીકે વર્ણવવામાં આવી છે. આપણે સમાચારોમાં વાંચીએ છીએ કે ક્યારેક અંધશ્રદ્ધાના નામે લોકોને મારી પણ નાખવામાં આવે છે. અભણ પરિવારોમાં જ થાય છે, એવું નથી, ભણેલા-ગણેલા લોકો પણ કરે છે.

ચક્રમાં અટવાયેલી અંધશ્રદ્ધાનો અંત ક્યારે?
જ્યાં સુધી સમાજમાં એકતરફી ઝોક રહેશે ત્યાં સુધી આ બાબત સતત શરુ રહેવાની ભીતિ છે. પિતૃસત્તાક પ્રણાલી દ્વારા અંધશ્રદ્ધાળુ બનાવવામાં આવેલી ઘણી સ્ત્રીઓ તેમના બાળકોને પણ આ જ શીખવી રહી છે. ક્યાંક, તેઓ ન તો પિતૃસત્તામાંથી બહાર નીકળી શક્યા છે કે ન તો તેમને બહાર જવા દેવામાં આવ્યા છે. સાથે જ અંધશ્રદ્ધા પર ચાલતી દુકાનોના કારણે પણ આ ચક્રનો અંત આવતો નથી. ઘણા લોકો તેમની અંધવિશ્વાસની દુકાનો ચાલુ રાખે છે, તેથી તેઓ અંધશ્રદ્ધાના નામે ધમકાવતા રહે છે. અમે વૈજ્ઞાનિક ચેતનાના વિકાસને મંજૂરી આપતા નથી.

વિશ્વાસ અને અંધવિશ્વાસ
જો કોઈ રિવાજ પાછળના તર્ક પર સવાલ કર્યા વિના તેનું પાલન કરવામાં આવે તો તેને અંધશ્રદ્ધા કહેવાય. જો કોઈ વ્યક્તિ રિવાજ પાછળના તર્કને ન સમજે તો તે ખતરનાક બની શકે છે.

અંધવિશ્વાસથી કેમ બચીશું?
પોતાના જીવન પર નિયંત્રણ મુકો,દ્રઢ નિશ્ચયી બનો , સક્રિય રહો , એવી પરિસ્થિતિ વિશે ન વિચારો જે તમારા હાથમાં જ નથી , વાસ્તવવાદી બનો, તર્કબદ્ધ થવું ખુબ જરૂરી

@

ડૉ. ધારા આર. દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ
ડૉ. યોગેશ એ. જોગસણ, અધ્યક્ષ, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ*