માતૃત્વ : ભાવિની વસાણી,મંતવ્ય ન્યૂઝ
આજે લોકડાઉનના સમયમાં બધાને સમગ્ર પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો છે. આ સમયે ઘણા પરિવારોમાં બાળકોને સર્જનાત્મકતા તરફ વાળવામાં સફળતા મળી છે. ઘણા પરિવારોમાં બાળકોને વાર્તા સાંભળવાનો મોકો મળ્યો છે. અથવા તો ઓનલાઇન શિક્ષણ કે સર્જનાત્મકતા શીખવવામાં આવી રહી છે. પહેલાના સમયમાં સંયુક્ત પરિવારમાં રહેતા બાળકોને સાચવવાની જવાબદારીઓ પણ વહેંચાઈ જતી હતી. અને બાળકોને સામાજિક જવાબદારી ઉપરાંત સમાજ જીવનનું શિક્ષણ ઘરમાંથી જ મળી રહેતું હતું. જેના કારણે બાળકો આ બધું ક્યારે શીખી જતા તે ખબર પડતી ન હતી.હાલના સમયમાં એક જ પરિવારની ત્રણ પેઢી સાથે રહેતી હોય તેવા પરિવારોની સંખ્યામાં ઘટાડો થયો છે. નોકરી કે સંતાનના શિક્ષણ અર્થે બહારગામ સ્થાયી થવાના કારણે કે પછી અન્ય કારણોસર આજકાલ દંપતી વડીલો સાથે નહીં પરંતુ એકલા રહેતા હોય આ સમયે બાળકોને ઘરગથ્થુ સામાજિક શિક્ષણની મોટી ખોટ પડી રહી છે. આ ખોટના કારણે ઘણી વખત બાળકો માત્ર પોતાના ઘર અને પરિવારમાં જ અનુકૂલન સાધી શકે છે. જ્યારે તેઓ ઘરની બહાર જાય ત્યારે અન્ય લોકો જોડે સરળતાથી ભળી શકતા નથી. અથવા તો ઘરે આવેલા મહેમાનોને આવકારવામાં તેઓ ઊણા ઊતરે છે. તો આવા બાળકોને વાલી તરીકે કઈ રીતે કેળવણી આપવી ? આ માટે કેટલાક મુદ્દાઓ અહીં સૂચવ્યા છે જે ખરેખર દરેક વિભક્ત કુટુંબ રહેતા દંપતીઓને સંતાનના ઉછેર કરવા માટે જીવન ઉપયોગી બનશે.
* આ માટે સૌપ્રથમ તમે વિચારો કે વર્તમાનમાં પરિવારમાં કેટલા સભ્યો જોડે રહો છો ? તેમજ વધુમાં વધુ સમય બધા સાથે કેટલા કલાક રહો છો ?
* પરિવારમાં માતા-પિતા સિવાય એક- બે સંતાનો હોય ત્યારે પરિવારના તમામ સભ્યો સાથે જમો છો કે નહીં ? જો સાથે જમતા હોય તો ખૂબ જ સારી બાબત ગણી શકાય.
* સાથે જમવાનું દિવસમાં એકવાર થાય છે કે બે વાર થાય છે ? કે પછી અઠવાડિયામાં એક-બે વખત થાય છે. આ બધા પ્રશ્નો અને તેના જવાબોની સૂચિ બનાવો.
* ગુજરાતીમાં એક કહેવત છે કે “જેના અન્ન નોખા તેના મન નોખા” જો પરિવારમાં બધા સભ્યો સાથે જમવા કે રહેવા માટે સમય વિતાવી ન શકતા હોય તો સાથે સમય વિતાવી શકે તે માટેના આયોજન કરો.
* દાદા-દાદી કે નાના-નાની સાથે ન રહેતું બાળક ક્યાંક વાર્તાઓથી કે બોધ કથાઓથી વંચિત તો નથી રહી જતું ને ? જો તેમ થતું હોય તો તેના માટે માતા-પિતાએ ખાસ દરકાર કરી અને બાળકોને વાર્તા વિશ્વમાં લઈ જવાની જરૂર છે.
* આ માટે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમ દ્વારા બાળકોને બાળવાર્તા બતાવવી જોઈએ. તેમજ નાની-નાની વાર્તાઓ માંથી બોધ મળી રહેતો હોય છે. આ માટે વાર્તા માત્ર બતાવવાની કે વાર્તાની ચોપડીઓ વંચાવવાની જ નહીં પરંતુ વાર્તાલાપ કરવાની ટેવ રાખો જેથી બાળક બોધથી વંચિત ન રહી જાય.
* ઘરના વડીલો સાથે ન રહેવાની ખોટ તો ભરપાઈ ન થઈ શકે પરંતુ અઠવાડિયે કે પંદર દિવસે વડીલો સાથે રહી શકાય તેવું આયોજન કરો.
* ઘરમાં વડીલોની સાથે કઈ રીતે રહેવું જોઈએ? વડીલોનું માન જાળવવું જોઈએ તે માટે બાળકોને પ્રેક્ટીકલ જ સમજાવી શકાય છે. માટે શક્ય હોય તો આખો પરિવાર સાથે રહી શકે તેવા આયોજન સમયાંતરે થવા જોઈએ.
* દાદા-દાદી કે નાના-નાનીને મુદ્દલ કરતાં વ્યાજ વધારે વ્હાલું હોય છે તેવી ગુજરાતીમાં કહેવત છે. માટે તેમના તરફથી જે પ્રેમ કે હૂંફની ખોટ પડે છે તે માતા-પિતા ક્યારેય પૂરી શકે નહીં. આ માટે પરિવારની ત્રણ પેઢીઓ એ વર્ષમાં થોડાક દિવસ સાથે રહેવાનું આયોજન કરવું જ જોઈએ.
* ઘણી વખત બધાના નસીબમાં વડીલોની છત્રછાયા હોતી નથી. વડીલો સ્વર્ગે સિધાવ્યા હોય આવા સંજોગોમાં શું કરવું ? આવા સંજોગોમાં સ્નેહીજનોના વડીલો જ આપણા વડીલો તેમ માનવું જોઈએ.
* વિભક્ત કુટુંબમાં રહેતા પરિવારજનોએ વધારે સામાજિક થવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેથી બાળક એકલસસુડું ન થઈ જાય. જો માતાપિતા પોતે જ સમાજમાં ભળતા નહીં હોય તો બાળક પણ એવું જ થશે.
* આ સિવાય ઘરના લોકોના ખાસ દિવસો વખતે બાળકોને વૃદ્ધાશ્રમમાં લઈ જવાં જોઈએ. તેમજ ખાસ દિવસોની ઉજવણી પરિવાર સાથે મળી આવા સ્થળે થવી જોઈએ.જેથી વૃદ્ધોની તકલીફો વિશે બાળકોને પરિચય થાય. અન્યથા નવી પેઢી ક્યારેય જૂની પેઢીની તકલીફ સમજી શકશે નહીં.
* નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેનું અંતર જણાય ત્યારે વચ્ચેની પેઢીએ જ મધ્યસ્થી બનવું જોઈએ. તેમજ સાથે રહેવાના ફાયદા વિશે ઘરમા ચર્ચા થવી જોઈએ. જેથી બાળકને ઘરના સભ્યોની કિંમત સમજાય.
* જે ઘરમાં ઘરના વડીલો સ્વર્ગે સિધાવ્યા હોય ત્યારે તેઓની તિથિ નિમિત્તે બાળકોના હાથે કોઈ દાન પુણ્ય કરવું જોઈએ. જેથી વડીલો માટે બાળકના મનમાં એક માન સ્થાપિત થશે.
* જે પરિવાર વિભક્ત કુટુંબમાં રહેતા હોય અને વડીલો એકલા રહેતા હોય આવી પરિસ્થિતિમાં નવી પેઢી સમક્ષ ક્યારેય જૂની પેઢી વિશે ટીકા-ટીપ્પણ કરવા જોઇએ નહીં. કદાચ સત્ય હોય તો પણ બાળકને આવા સત્ય થી પરિચિત કરાવવાની જરૂરિયાત હોતી નથી.
* આજે વડીલો સાથે તમારા બાળકો નહીં ભળતા હોય તો આવતીકાલે તમારી સાથે પણ નહીં ભળે તેવું બની શકે છે. માટે વડીલો સાથે બાળકોનો સુમેળ રહે તેવા પ્રયત્ન દરેક માતા-પિતાએ કરવા જોઈએ.