કેન્દ્રએ સોમવારે ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈકની આગેવાની હેઠળના ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ) પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. નાઈક હાલ મલેશિયામાં રહે છે. IRF ને પહેલીવાર 17 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (1967 ના 37) હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે IRF એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે જે દેશની સુરક્ષા માટે જોખમકારક છે અને જે શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રભાવિત કરી શકે છે અને દેશના બિનસાંપ્રદાયિક માળખાને ખલેલ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે નાઈક દ્વારા કરવામાં આવેલા નિવેદનો અને ભાષણો વાંધાજનક અને ઉશકેરણીજનક છે અને તેના દ્વારા તે ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપી રહ્યો છે. નાઈક ચોક્કસ ધર્મના યુવાનોને ભારતમાં અને વિદેશમાં આતંકવાદી કૃત્યો કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે.
મંત્રાલયે કહ્યું કે નાઈક આંતરરાષ્ટ્રીય સેટેલાઇટ ટીવી નેટવર્ક, ઈન્ટરનેટ, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા વિશ્વભરના લાખો લોકોને કટ્ટરપંથી નિવેદનો અને ભાષણો આપે છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, તેણે UAPA હેઠળ IRF પરના પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.