યમનના હોદેદાહ બંદરેથી હુતી બળવાખોરો દ્વારા કબજે કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના ધ્વજવાળા માલવાહક જહાજમાં સવાર સાત ભારતીય ખલાસીઓની તબિયત સારી છે અને સરકાર તેમને મુક્ત કરવા હુથી બળવાખોરો સાથે વાત કરી રહી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી છે. સરકાર પોતાનો સંદેશ હુતી વિદ્રોહીઓ સુધી પહોંચાડવા માટે ઘણા સ્રોતોના સંપર્કમાં છે.
ઓનલાઈન મીડિયા બ્રીફિંગમાં એક પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે યુએઈ સ્થિત શિપિંગ કંપની તેમજ અન્ય સ્ત્રોતો પાસેથી મળેલી માહિતી મુજબ, સાત ભારતીય ખલાસીઓની તબિયત સારી છે. તેમને નિયમિતપણે ભોજન આપવાવામાં આવે છે.
જો કે, જે બળવાખોરોએ તેમને પકડી લીધા છે તેઓ તેમને તેમના પરિવાર સાથે વાત કરવા દેતા નથી. ભારત સરકાર હોદેદાહ સમજૂતીને સમર્થન આપવા માટે સંયુક્ત રાષ્ટ્રના મિશન સહિત અનેક સ્ત્રોતોના સંપર્કમાં છે. આના દ્વારા, ભારત ખલાસીઓની સલામતી અને સુખાકારી વિશે પૂછપરછ કરતા હુતી બળવાખોરોને તેના સંદેશા મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ,આ મહિનાની શરૂઆતમાં અબુ ધાબીમાં થયેલા આતંકવાદી હુમલા અંગે બાગચીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના UAE સમકક્ષ સાથે ટેલિફોનિક વાતચીતમાં આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. ત્યારબાદ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, જેનું ભારત હાલમાં સભ્ય છે તેને એક અખબારી નિવેદનમાં, 17 જાન્યુઆરીના રોજ અબુ ધાબીમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. બાગચીએ કહ્યું, “અમે ઘટનાક્રમ પર જીણવટભરી નજર રાખી રહ્યા છીએ.”