Ambaji News: સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી રહ્યા છે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અંબાજીમાં વરસાદ ન વરસતા અંબાજીવાસીઓએ આજે વરુણદેવને રીઝવવા અંબાજી બંધ રાખી મંદિરોમાં મેઘરાજાની પધરામણી માટે પ્રાર્થના કરી હતી. જે વરુણદેવે અંબાજી વાસીઓની પ્રાર્થના સાંભળી મેઘરાજાની પધરામણી કરી છે. બજારોમાં નદીની જેમ પાણી વહેતું થયું હતું.
અંબાજી શક્તિપીઠ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા પધરામણી ન કરતાં અંબાજી ગામના સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વયંભૂ ગામ બંધ રાખ્યું હતું, અંબાજી મંદિર સંપૂર્ણપણે ખુલ્લું રાખવામાં આવ્યું છે. અંબાજી ખાતે તમામ હોટલો, ગેસ્ટહાઉસો પણ બંધ જોવા મળ્યાં છે, ત્યારે માઇભક્તોને તકલીફ ન પડે એ માટે અંબાજી મંદિરની ભોજનશાળા ખુલ્લી જોવા મળી હતી. એ પ્રાર્થના જાણે અંબાજીવાસીઓને તરત ફળી હોય એમ અંબાજીમાં બપોરે એકાએક વરસાદની શરૂઆત થઈ હતી. અંબાજીની બજારોમાં નદીઓની જેમ પાણી વહેતાં થયાં હતાં. મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાયાં હતાં.
ગુજરાતના અનેક જિલ્લાઓ, શહેરો અને ગામોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ અંબાજી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા પધરામણી ન કરતાં અંબાજીના સ્થાનિક વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વરુણદેવને રીઝવવા માટે જંગલમાં વન ભોજન કરવાનું આયોજન આજે બુધવારે રાખવામાં આવ્યું હતું.
બુધવારે વહેલી સવારથી અંબાજીના તમામ વિસ્તારનાં બજારો-દુકાનો બંધ જોવા મળ્યાં હતાં અને વેપારીઓ પ્રભુને સ્મરણ કરીને મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ અંબાજીમાં પણ ભૂદેવો દ્વારા માતાજીના પાઠ પણ કરવામાં આવ્યા હતા. અંબિકેશ્વર મહાદેવ ખાતે મહારાજ દ્વારા ભોળાનાથનું સ્મરણ કરવામાં આવ્યું હતું.
