@ધ્રુવ સોમપુરા સુરત
કોરોનાના વધતા સંક્રમણને લઈ ફરી ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ જાહેર લાદવામાં આવ્યું છે.જેમાં રાત્રિ કરફ્યૂને લીધે સુરતના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અંદાજે રોજના 400 કરોડના ડિસ્પેચ પર સીધી અસર થઈ રહી છે.સુરત થી અન્ય રાજ્યોમાં રવાના થતી ટ્રકોમાં માલનો લોડિંગ મોટેભાગે સાંજે 7 વાગ્યાથી શરૂ થઈને વહેલી સવાર સુધી ચાલતું હોય છે.જે રાત્રી કરફ્યુ ને પગલે અટવાઈ ગયું છે.
સુરતમાં કોરોના સંક્રમણ વધતાં રાજ્ય સરકાર દ્વારા સુરત સહિત અન્ય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જેને કારણે સુરતમાં ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સુરત ટેક્સટાઇલ ગુડસ અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખના મતે સુરતથી રોજ 350 થી 400 જેટલી ટ્રકો ડિસ્પેચ થઈ અન્ય રાજ્યોમાં જતી હોય છે. નવેમ્બર માસની શરૂઆતથી જ 400 જેટલા ટ્રક રોજિંદા દક્ષિણ અને ઉત્તરના રૂટ પર દોડાવવામાં આવી રહી હતી. જેના માટે ટ્રકમાં માલસામાન ચઢાવવાની કામગીરી રાત્રિના સમયે જ થતી હોઈ છે. એક ટ્રકમાં અંદાજે રૂ.60 થી 70 લાખના પાર્સલ ડિલીવરી કરવામાં આવે છે. જો કે સાંજ થી રાત દરમિયાન ચાલતું આ કામ રાત્રિ કર્ફ્યુના કારણે અટવાઈ ગયું છે.
વધુમાં સુરત ટેક્સટાઇલ ગુડસ અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન પ્રમુખ યુવરાજ દેસલે જણાવ્યું હતું જે રાત્રી કરફ્યુ ને કારણે ટ્રકો પણ એક દિવસ મોડી જઈ રહી છે. દિવાળી પહેલા ટ્રાન્સપોર્ટ કામ ખુબ જ સારી રીતે ચાલી રહ્યું હતું તે હાલ રાત્રિકર્ફ્યુના કારણે ડિસ્પેચ કામગીરી મોડી થતા આર્થિક રીતે અસર કરી રહ્યું છે. આશા હતી કે મોટા પ્રમાણમાં અહીંથી ગુડસ ડીલીવર થશે પરંતુ રાત્રિ કર્ફ્યુના કારણે મુશ્કેલીઓ થઇ રહી છે. સરકાર પાસે આશા છે કે રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરી અમને રાહત આપે. જેથી માલના ડિસ્પેચની કામગીરી સમયસર થઇ શકે અને અન્ય રાજ્યોમાં જે પણ ડિલિવરી થઈ છે તે સમયસર થાય.
રાત્રી કરફ્યુ કારણે ટ્રાન્સપોર્ટમાં માલના ડિસ્પેચિંગ અટવાય જતા તેની અસર સમગ્ર ચેઇન પર પડી છે એટલે કે કાપડ વેપાર પર પણ તેની અસર જોવા મળી રહી છે સમયસર કાપડના પાર્સલ સુધી ન પહોંચતા તે ડિસ્પેચિંગ સમયસર થઇ શકતા નથી જેને લઇને માર્કેટના વેપારીઓએ પણ નુકસાનીનો બોજો ઉઠાવો પડી રહ્યો છે