તેલંગાના વિધાનસભાની ચૂંટણીના પરિણામ અંતર્ગત આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તેલંગાના રાષ્ટ્ર સમિતિ (TRS) ફરી વખત સરકાર રચવા જઈ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જેના લીધે હૈદરાબાદ ખાતે ટીઆરએસ કાર્યાલય બહાર જશ્નનો માહોલ જામ્યો છે.
તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ અંતર્ગત આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ 2013માં રાજ્ય બન્યા પછી પહેલી વખત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ છે.
આ ચૂંટણીમાં મતદાતાઓએ ભારે સંખ્યામાં આગળ આવીને 73.20 ટકા જેટલું ભારે મતદાન કર્યું હતું. તેલંગાણામાં સત્તાધીશ ટીઆરએસ (TRS) અને વિપક્ષી કોંગ્રેસ પ્રેરિત ‘પીપુલ્સ ફ્રન્ટ’ દ્વારા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પોત-પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી આગામી વર્ષે આવનારી લોકસભાની ચૂંટણીની સાથે થવાની હતી. પરંતુ ટીઆરએસ સરકારની ભલામણ બાદ સપ્ટેમ્બરમાં રાજ્ય વિધાનસભાને નિયત સમય અગાઉ જ ભંગ કરી દેવામાં આવી હતી.
હાલ જયારે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) સ્પષ્ટ રીતે આગળ ચાલી રહી છે. જે રીતે આગળ ચાલી રહે છે તે મુજબ ટીઆરએસ રાજ્યમાં બે તૃતિયાંશ કરતા વધુ બેઠકો સાથે જીત મેળવીને સત્તા ઉપર બિરાજે તેવી સંભાવના છે. જેના કારણે હૈદરાબાદમાં ટીઆરએસના કાર્યાલય ખાતે કાર્યકરોનો મોટી સંખ્યામાં જમાવડો એકઠો થયો છે.
તેલંગાનામાં કેસીઆરની સરકાર બનશે તેવી સ્થિતિના કારણે ટીઆરએસના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે અને કાર્યકરો દ્વારા કાર્યાલયની બહાર જશ્ન મનાવી રહ્યા છે.