સોપોર: જમ્મુ-કાશ્મીર (J&K)માં તાબડતોબ થઈ રહેલા એન્કાઉન્ટરનો સિલસિલો હજી પણ ચાલી રહ્યો છે. ગુરૂવારના રોજ દક્ષિણ કાશ્મીરના ત્રાલ અને બારામુલા બાદ ભારતીય સેનાએ ઉત્તર કાશ્મીરમાં પણ આતંકીઓને ઠાર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ આજે પણ ચાલુ રહી છે. જેમાં ભારતીય સેનાના જવાનોને આતંકીઓના એન્કાઉન્ટર કરવામાં સફળતા મળી છે. ભારતીય સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીને સેનાએ ઠાર કર્યા છે.
આ અગાઉ ગુરૂવારના રોજ ઘાટીમાં ભારતીય સેનાના જવાનોએ છ આતંકીઓને ઠાર કરીને સપાટો બાલાવી દીધો હતો. જવાનોએ કાશ્મીરમાં અલગ-અલગ વિસ્તારોમાં કુલ છ આતંકીઓનું એનકાઉન્ટર કર્યુ હતુ.
આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર, J&K ના સોપોર જિલ્લાના પજલપોરા ગામમાં છુપાઈને બેઠેલા આતંકીઓએ અચાનકથી ભારતીય સેનાના જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો. તેનો પ્રત્યુત્તર આપતા ભારતીય સેનાએ પણ આતંકીઓ પર વળતો ગોળીબાર શરૂ કર્યો હતો.
બંને તરફથી થઈ રહેલા અંધાધૂંધ ગોળીબારમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. જ્યારે આ અથડામણમાં એક ભારતીય જવાનને ગોળી વાગી ગઈ હતી. ઈજાગ્રસ્ત જવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ જવાન શહીદ થઈ ગયાn હતા.
આ અથડામણની ઘટનાને પગલે ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દીધો છે. કારણ કે, આ અથડામણમાં કોઈ નાગરિકને નુકશાન ન પહોંચે. આ અથડામણને કારણે શાળા અને કોલેજો પણ બંધ કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સેવાઓને પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.