ભારતીય રેલવેમાં ચોર અને લુંટારાઓએ રેલવે પર પકડ બનાવી દીધી છે. ચોરી કરવાવાળા લોકો બોલ્ટ, તકિયો, વોશ બેસીન, ચાદર, તાર કંઈપણ છોડતા નથી. વર્ષ ૨૦૧૬ દરમિયાન આરપીએફે સમગ્ર દેશમાંથી આવા ૧૧ લાખ ચોરને પકડ્યા છે. આ લોકો ટ્રેનની અંદર રાખવામાં આવેલ સામાનથી લઈને રેલવે ટ્રેકની ચોરી કરતા પકડાયા છે.
સૌથી વધુ ૨.૨૩ લાખ ચોર મહારાષ્ટ્રમાંથી પકડાયા છે. બીજા નંબરે ઉત્તરપ્રદેશ આવે છે, જ્યાંથી ૧.૨૫ લાખ ચોર પકડાયા છે. જ્યારે ત્રીજા નંબરે મધ્યપ્રદેશ આવે છે જ્યાંથી ૯૮ હજાર લોકો ચોરી કરતા ઝડપાયા છે. તમિલનાડુમાંથી ૮૧૪૦૮ અને ગુજરાતમાંથી ૭૭૦૪૭ લોકો ટ્રેનમાં ચોરી કરતા ઝડપાયા છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોર મોટાભાગે ટ્રેનમાં લગાવાયેલ સારી ક્વોલીટીના તાર અને તાંબાની ચીજવસ્તુને નિશાન બનાવે છે. આ ઉપરાંત સ્ટેશન પર ઉભા રાખવામાં આવેલ કોચમાંથી પણ સામાન ચોરે છે. ઉત્તર રેલવે ઝોનના મુખ્ય પીઆર ગૌરવ બંસલે જણાવ્યુ હતું કે, લોકો લોખંડની ચેન નાખી પાવર સપ્લાય બંધ કરે છે ત્યારબાદ તાંબાના તારની ચોરી કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો રેલવે ટ્રેકના પાટા પણ ચોરીને બજારમાં વેચે છે. કારણકે, એક મીટર ટ્રેકનો ટુકડો ૬૦ કિલોનો હોય છે, જેના ભંગારમાં ૧ હજાર સુધી મળી રહેતા હોય છે. બંસલે જણાવ્યુ હતું કે કેટલાક ચોર એસી કોચમાંથી તકીયો, ચાદર અને બલ્બ પણ ચોરી જતા હોય છે.