રવિ મોટવાણી,મોરબી@મંતવ્ય ન્યૂઝ
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે અને ત્રીજી લહેર પૂર્વે રસીકરણ વધુને વધુ થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.જોકે રસીકરણ અભિયાનમાં પણ ગોલમાલ ચાલતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણકે વાંકાનેરના લુણસર ગામે રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ માત્ર એક જ ડોઝ લીધો હોય છતાં બીજો ડોઝ લીધાનો મેસેજ આવી ગયો અને સર્ટીફીકેટ પણ ડાઉનલોડ થઇ રહ્યું છે.
જે ગોલમાલની મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કાન્તીભાઈ છગનભાઈ વસીયાણી, મુકેશભાઈ છગનભાઈ વસીયાણી, સવિતાબેન કાન્તીભાઈ વસિયાણી અને હંસાબેન મુકેશભાઈ વસીયાણી એમ પરિવારના ચાર સભ્યોએ લુણસર પીએચસી ખાતે ગત તા. ૨૫ માર્ચના રોજ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો,જોકે બાદમાં બીજો ડોઝ લેવાનો બાકી હોય,ગઈકાલે તા. ૨૭-૦૫ ના રોજ રસીનો બીજો ડોઝ લઇ લીધાના મેસેજ આવ્યા હતા. જોકે પરિવારના ચાર પૈકી એકપણ સભ્યે રસીનો બીજો ડોઝ લીધો ના હોય જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કામ કરતા કિરણબેન સાથે ટેલીફોનીક સંપર્ક કર્યો હતો.
જેમાં પરિવારને યોગ્ય જવાબ મળ્યો ના હતો અને ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા,તો આ મામલે લુણસર પીએચસીના જાવેદભાઈનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે સોફ્ટવેરની ટેકનીકલ પ્રોબ્લેમ હોઈ સકે,જેનું તેઓ નિરાકરણ કરી આપશે પરંતુ અહી સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું ખરેખર ટેકનીકલ એરરને પગલે આવું બન્યું હતું કે પછી રસીનો બીજો ડોઝ ના લેતા હોય,અને રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેવા લોકોના નામે અન્યને રસી તો નથી મુકવામાં આવી રહી કે પછી બીજી કાઈ ગોલમાલ કરાઈ રહી હોવાની શંકા પણ અહી જોવા મળે છે.