મોહસીન ખાન @ મંતવ્ય ન્યૂઝ,ગોધરા
કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અને ‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’ અભિયાન અંતર્ગત જિલ્લામાં હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા હાથ ધરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ગોધરાના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં કામગીરીની વિગતો મેળવતા રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની સ્થિતિમાં પોતાના પરિવારને અને આસપાસ લોકોને ચેપથી બચાવવા માટે આઈસોલેટ થવું અતિ અગત્યનું છે. આ બાબત લોકો સમજે અને આઈસોલેટ થવાની સુવિધા ન ધરાવતા લોકો માટે ગામે-ગામ શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરનો મહતમ ઉપયોગ કરે, તે અંગે જાગરૂક બને તે અતિ જરૂરી છે. તેથી સ્થાનિક- સામાજિક અગ્રણીઓનો સહયોગ મેળવી તલાટી -આશાવર્કર સહિતના ગ્રામ્ય સ્તરે કામગીરી કરતા કર્મચારી ઓ- અધિકારીઓ આ અંગે અસરકારક કામગીરી કરે તે અંગે સૂચના-માર્ગદર્શન આપ્યા હતા.
જિલ્લામાં કાર્યરત થયેલા આરસીસીસી (રૂરલ કોવિડ કેર સેન્ટર્સ) અને નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ દીઠ શરૂ કરાયેલ/કરાઈ રહેલ કોવિડ કેર સેન્ટર્સ, આ સેન્ટર્સ ખાતે ઉપલબ્ધ બેડ્સની સંખ્યા, એડમિટ થનાર માટે જમવાની વ્યવસ્થાનું આયોજન, દવાઓનો સ્ટોક, ઓક્સિમીટર-થર્મોમીટર, બીપી માપવાના મશીન સહિતના સાધનોની ઉપલબ્ધતા અને સ્થિતિ, ઉપલબ્ધ આરોગ્યકર્મીઓની સ્થિતિ સહિતની બાબતો અંગે સૂક્ષ્મ માહિતી મેળવતા તેમણે કોવિડ કેર સેન્ટર્સમાં ભૌતિક અને આરોગ્યલક્ષી સુવિધાઓનું રેન્ડમ ચેકિંગ હાથ ધરવા વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી હતી. દરેક પી.એચ.સી./સી.એચ.સી. પર કોરોનાની સારવારમાં વપરાતી એન્ટિબાયોટીક, એન્ટિવાયરલ સહિતની જરૂરી દવાઓનો નિયત સ્ટોક જળવાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા.
વધુ પ્રભાવિત વિસ્તારોમાં ધન્વંતરિ રથની મદદથી દવાઓના વિતરણ, ટેસ્ટ તેમજ માર્ગદર્શનની કામગીરી અંગે તેમણે સૂચના આપી હતી. પ્રભાવિત વિસ્તારો સહિતના વિસ્તારમાં આરોગ્ય સર્વેની કામગીરી સમયે જ પૉઝિટિવ આવવાની સ્થિતિમાં હોમ આઈસોલેશનની સુવિધા ન હોય તો કોવિડ કેર સેન્ટરમાં તેઓ આ લાભ વિના મૂલ્યે લઈ શકે અને પરિવાર જનોને સુરક્ષિત કરી શકે છે એ અંગે સમજણ આપવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. જેમના ઘરે અલગ રૂમ, ટોઇલેટ-બાથરૂમ, ઓક્સિજન-ટેમ્પરેચર માપવાની સુવિધા ન હોય તેવા દર્દીઓએ કોવિડ કેર સેન્ટરનો લાભ અવશ્ય લેવો જોઈએ જેથી આ તમામ બાબતો નિરીક્ષણ હેઠળ રહી શકે. જિલ્લાની ચાર નગરપાલિકાના ચીફ ઓફિસર્સ પાસેથી ‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’ અભિયાન અંતર્ગત શરૂ થયેલ કામગીરીની વિગતો મેળવી હતી.