નવી દિલ્હી,
આરબીઆઇ ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી ચલણી નોટ જારી કરશે. આરબીઆઇએ એક નિવેદનમાં મહાત્મા ગાંધી શ્રેણીની નવી રૂ.50ની નોટ જારી કરશે તેવું જણાવ્યું હતું.આ નવી નોટ પર ગર્વનર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. આ નવી નોટની ડિઝાઇન મહાત્મા ગાંધી શ્રેણીમાં પૂર્વમાં જારી કરેલી નોટ પ્રમાણે હશે.
બેંકે વધુમાં ઉમેર્યું હતું કે પૂર્વમાં જારી કરવામાં આવેલા દરેક 50 રૂપિયાની ચલણી નોટ માન્ય રહેશે અને તેનાથી પહેલાની જેમ જ આર્થિક લેવડદેવડ થતી રહેશે.
નવા ફીચર્સ સાથે જારી થશે રૂ.20ની ચલણી નોટ
આ ઉપરાંત આરબીઆઇ નવા ફીચર્સ સાથે 20 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડશે. જણાવી દઇએ કે 200, 2000 ની નવી ચલણી નોટ જારી કરવાની સાથોસાથ આરબીઆઇએ પહેલા થી જ 10,50,100 અને 500 રૂપિયાની નવી નોટ જારી કરી ચૂકી છે.
આરબીઆઇના ડેટા મુજબ 31 માર્ચ, 2016 સુધી બજારમાં ઉપલબ્ધ 20 રૂપિયાની નોટની સંખ્યા 4.92 અબજ હતી જે માર્ચ 2018 સુધી 10 અબજ થઇ ચૂકી છે.