મુંબઇ,
જેટ એરવેઝના કર્મચારી સંગઠને શુક્રવારે પોલીસ સામે માગણી કરી છે કે, એરલાઇન્સના ફાઉન્ડર નરેશ ગોયલ, સીઇઓ વિનય દુબે અને એસબીઆઇના ચેરમેન રજનીશ કુમાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. એસબીઆઇ જેટની દેવાદાર બેન્કોનું નેતૃત્વ કરી રહી છે અને એરલાઇન્સના રિઝોલ્યૂશન પ્લાન પર કામ કરી રહી છે. જેટ એરવેઝના કર્મચારીઓ સેલેરી નહીં મળવાથી નારાજ છે.
આ અંગે જેટના ઓલ ઇન્ડિયા ઓફિસર્સ એન્ડ સ્ટાફ એસોસિએશનના પ્રમુખ કિરણ પાવસકરે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવાયું છે કે એરલાઇન્સે કર્મચારીઓને માર્ચ મહિનાનું વેતન નથી આપ્યું. તેથી છેતરપિંડી, ભરોસો તોડવા, ફંડના દુરૂપયોગ અને અન્ય અપરાધો હેઠળ કેસ દાખલ કરવામાં આવે.
આ અગાઉ પાવસકરના નેતૃત્વમાં 200 કર્મચારીઓએ એરપોર્ટથી જેટ એરવેઝની મુખ્ય ઓફિસ સિરોયા સેન્ટર સુધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કર્મચારીઓની સીનિયર મેનેજમેન્ટ સાથે મુલાકાત થઇ હતી. જો કે, તેઓ સીઇઓ વિનય દુબેને મળવા ઇચ્છતા હતા. ઉલ્લેખનિય છે કે જેટ એરવેઝ હાલ આર્થિક સંકટમાં ચાલી રહી છે. દેવા હેઠળ દબાતા જેટ એરવેઝની 90 ટકા જેટલી ફ્લાઈટો બંધ કરવામાં આવી છે જ્યારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ સોમવાર સુધી બંધ રાખવામાં આવી છે.