દિલ્હી,
સીવીલ સર્વિસમાં 37 કરતાં પણ વધુ વર્ષોનો અનુભવ ધરાવતા શક્તિકાંત દાસની આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.શક્તિકાંત દાસ 1980ની બેંચના તમિળનાડુ કેડરના આઈએએસ ઓફિસર રહી ચુક્યા છે. શિક્ષણની વાત કરવામાં આવે તો દાસ ઇતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (એમએ) અને ગ્રેજ્યુએટ (બીએ) થયા હતા.
તેઓ હાલમાં ફાઈનાન્સ કમિશનમાં સભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા. આઈએએસ ઓફિસરના ગાળા દરમિયાન દાસે ભારત અને તમિળનાડુમાં જુદા જુદા ક્ષેત્રોમાં સેવા આપી હતી. દાસ ભારતમાં આર્થિક બાબતોના સેક્રેટરી તરીકે તથા રેવન્યુ સેક્રેટરી તરીકે રહ્યા હતા. ઉપરાંત ફર્ટીલાઇઝર સેક્રેટરી તરીકે રહ્યા હતા. આજે તેમની આરબીઆઈના ૨૫માં ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
દાસ કેન્દ્ર સરકારમાં સેક્રેટરી (ઇન્ડસ્ટ્રી) તરીકે તેઓ કામ કરી ચુક્યા છે. મહિન્દ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડમાં પણ તેમને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. દાસની જૂન 2014માં કેબિનેટની વડાપ્રધાનના નેતૃત્વમાં નિમણૂંક કમિટિ દ્વારા કેન્દ્રીય મહેસુલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. 16મી જૂન 2014ના દિવસે તેઓએ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી હતી. ૩૧મી ઓગસ્ટ 2015ના દિવસે તેઓએ આ હોદ્દો છોડ્યો હતો. શક્તિકાંત દાસે અનેક મહત્વપૂર્ણ કામો પોતાના ગાળા દરમિયન કર્યા હતા. જી-20માં શક્તિકાંતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગઇકાલે એકાએક ઉર્જિત પટેલે આરબીઆઈના ગવર્નર તરીકે રાજીનામુ આપી દેતા એક દિવસ બાદ તેમની આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.