ઉજ્જૈન : મધ્યપ્રદેશની પાવન ભૂમિ એવા ઉજ્જૈનમાં પોતાની બે દિવસીય ચૂંટણી પ્રચાર યાત્રાની પૂર્ણાહુતી રાહુલ ગાંધીએ ઉજ્જૈનના દશેરા મેદાનમાં વિશાળ જનસભાને સંબોધિત કરીને કરી હતી. આ જનસભામાં Congress અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકાર બનશે તો સરકાર રચાયાના 10 દિવસમાં જ તમામ ખેડૂતોના દેવાં માફ કરવામાં આવશે.
મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સંદર્ભે Congress ના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બે દિવસીય ચૂંટણી પ્રચાર યાત્રા યોજી હતી. જેની પૂર્ણાહુતી ધર્મનગરી એવા ઉજ્જૈનમાં કરી હતી. આ પ્રસંગે Congress અધ્યક્ષે ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલની પૂજા અર્ચના કરી હતી અને મહાકાલના આશીર્વાદ મેળવ્યા હતા. આ પછી ઉજ્જૈનના દશેરા મેદાનમાં જનસભાને સંબોધિત કરી હતી. સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાશે તો માત્ર દસ દિવસમાં જ તમામ ખેડૂતોના દેવાં માફ કરવામાં આવશે.
તેમણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં ખેડૂતની હાલત કફોડી બની છે. ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં જાય છે તો ત્યાં તેનો પાક તોલવામાં નથી આવતો, ખેતી ઉત્પાદનનો યોગ્ય ભાવ નથી મળતો, જો મળે છે તો તે મહિનાઓ બાદ મળે છે. તેમને બોનસ પણ નથી મળતું. પાક વીમાના પૈસા પણ સમય વિતી જવા છતાં નથી મળતા. જો કે કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને આવી કોઇ જ પરેશાની નહી પડે. જો કોંગ્રેસની સરકાર બને છે તો તમામ ખેડૂતોનું દેવું માફ થશે અને તે પણ ફક્ત 10 દિવસની અંદર.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યની સરકાર પર પણ શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ ધર્મની વાતો કરે છે, પરંતુ તેમનો ધર્મ તો ભ્રષ્ટાચાર છે. શિવરાજ સિંહ ચૌહાણ જ્યાં પણ જાય છે ત્યાં જાહેરાત કરે છે. શિવરાજે 20 હજાર જાહેરાતો કરી પરંતુ અહીની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ખતમ કરી દેવામાં આવી. આ ઇન્ડસ્ટ્રીને અમે ફરીથી ચાલુ કરીશું અને અહીના યુવાનો આ ટેક્સટાઇલર્સ ઇન્ડસ્ટ્રીમાં રોજગાર મેળવશે. ભાજપની સરકારે ક્ષિપ્રા નદી સાફ કરવામાં 400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, પરંતુ નદીમાં ગંદકી યથાવત્ત છે.
પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ સૈનિકોએ જણાવ્યું કે મોદીજીએ વન રેંક વન પેંશનની વાત કરી અને જ્યાં પણ જાય છે ત્યાં કહે છે કે વન રેંક વન પેંશન થઇ ગયું. જ્યારે સત્ય છે કે આજ સુધી વન રેંક વન પેંશન નથી થયું. મોદીજી ખોટુ બોલે છે. હિન્દુસ્તાનના વડાપ્રધાને ફ્રાંસના રાષ્ટ્રપતિને કહ્યું કે, જો રાફેલ હવાઇ જહાજનો સોદો કરવાનો છે તો કોન્ટ્રાક્ટ HALને નહી અનિલ અંબાણીને મળશે. નરેન્દ્ર મોદીજીને અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયા આપવા માટે મધ્યપ્રદેશના યુવાનો પાસેથી રોજગાર છીનવ્યો છે.