નવી દિલ્હી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઈ રહેલા ટ્રિપલ તલાક મુદ્દે સંસદથી લઇ રાજકારણમાં પણ ઘણો ગરમાવો જોવા મળતો હોય છે. વર્તમાન મોદી સરકાર અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે આ મુદ્દે અનેકવાર આરોપ-પ્રત્યારોપ જોવા મળી ચુક્યા છે, ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટ્રિપલ તલાકના મુદ્દે કેન્દ્ર સરકારને સમર્થન આપવાનું નક્કી કરાયું છે. જો કે આ સમર્થન માટે કોંગ્રેસ દ્વારા અનેક શર્તો પણ અપાઈ છે.
કોંગ્રસ તરફથી આ નિવેદન અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે આપ્યું છે. તેઓને જણાવ્યું હતું કે, જયારે સરકાર મહિલાઓ માટે નિર્વાહ ભથ્થું લાવવા માટે પ્રાવધાન કરે છે તો કોંગ્રેસ જરૂરથી સરકારને સમર્થન આપશે.
તેઓએ વધુમાં જણાવ્યું, “જયારે સરકાર ટ્રિપલ તલાક વિરોધી બીલમાં મહિલા માટે ગુજારા માટેનું ભથ્થા માટેનું પ્રાવધાન કરે છે તો કોંગ્રેસ સમર્થન કરશે”.
જો કે તેઓએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર મહિલા આરક્ષણ બીલ માટે ટ્રિપલ તલાકના બીલ માટે શરતો રાખીને “સૌદાબાજી” કરી રહી છે.
સુષ્મિતા દેવે કહ્યું, “અમે ટ્રિપલ તલાકના બીલ વિરુધ ક્યારેય પણ ન હતા, પરંતુ હાલના બીલનું સ્વરૂપ મુસ્લિમ મહિલાઓને નુકશાન પહોચાડનારૂ છે.
મહત્વનું છે કે, મુસલમાન સમુદાયની મહિલાઓના ટ્રિપલ તલાક વિરુધ લાવવામાં આવેલા “મુસ્લિમ મહિલા લગ્ન સુરક્ષા બીલ” લોકસભામાં પહેલેથી જ પસાર થઇ ચુક્યું છે, પરંતુ હાલમાં રાજ્યસભામાં લંબિત છે.