દિલ્લી
બ્રિટનની કોર્ટે ફરાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે મંજૂરી આપી દીધી છે. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિજય માલ્યાને ચોર કહેવા બદલ પોતાનું નિવેદન આપ્યું છે.
દેશની બેંકના કરોડો રૂપિયા લઇને ભાગી જનાર વિજય માલ્યાને ભાગેડુ નામથી જ સંબોધિત કરવામાં આવે છે.
ગડકરીએ પોતાના નિવેદનમાં કહ્યું કે એક વખત વ્યાજ ન ચુકવનારને ચોર કહેવો તે યોગ્ય નથી. વિજય માલ્યાજી છેલ્લા ચાર દશકાથી નિયમિત રીતે વ્યાજ ભરતા હતા. તેમણે સ્પષ્ટ પણ કર્યું છે કે કારોબારીમાં માલ્યા સાથે તેમનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.
એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે ૪૦ વર્ષોથી વિજય માલ્યા નિયમિત રીતે વ્યાજ ભરી રહ્યા હતા. ૪૦ વર્ષ બાદ તેમણે હવાઈ ક્ષેત્રમાં ઉતરવાનું નક્કી કર્યું અને તે સમસ્યાથી ઘેરાઈ ગયા.
જે ૪૦ વર્ષ સુધી વ્યાજ ભરે છે તે યોગ્ય છે પરંતુ એક વખત ન ભરી શકે તો તે ફ્રોડ બની જાય છે. આ પ્રકારની માનસિકતા રાખવી તે યોગ્ય નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે તેઓ ૨૬ વર્ષની ઉંમરે ચૂંટણી હારી ગયા હતા પરંતુ આ હારને તેમણે એવી રીતે ન લીધી કે જેથી તેમનું રાજનીતિનું કેરિયર પૂરું થઇ જાય.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બીજું એક જોરદાર ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જયારે કોઈ બીમાર થાય છે ત્યારે તેને આઈસીયુમાં રાખવામાં આવે છે.
પરંતુ આપણે ત્યાં બેન્કિંગ સિસ્ટમ પહેલા બીમાર કંપનીને આઈસીયુમાં રાખવામાં આવે છે અને પછી નક્કી કરવામાં આવે છે તે સમાપ્ત થઇ ગઈ છે.
તમને જણાવી દઈએ કે બ્રિટનની કોર્ટે ફરાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે મંજૂરી આપી દીધા પછી મુંબઈની આર્થર રોડ જેલમાં હાઈ સિક્યુરિટી ધરાવતા સેલમાં વ્યવસ્થા કરી દેવાઈ છે.
જેલમાં બે માળની ઈમારતમાં આવેલી બેરેક માલ્યા માટે તૈયાર કરી દેવાઈ છે. આ ઈમારતમાં જ એક બેરેકમાં ૨૬/૧૧ના આતંકી હુમલામાં પકડાયેલા આતંકી અજમલ કસાબને પણ કેદ કરવામાં આવ્યો હતો. આ એક ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ધરાવતી બેરેક હશે.