નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જેની નોંધ લેવાઈ છે તે પંજાબ નેશનલ બેન્ક (PNB) ના અબજો રૂપિયાના લોન કૌભાંડમાં ભાગેડુ નિરવ મોદી અને તેનો મામા મેહુલ ચોકસી ભારતના હાથમાં આવવાનું નામ લેતાં નથી.
આ દરમિયાન મેહુલ ચોકસી જે દેશના શરણે ચાલ્યો ગયો છે તે એન્ટીગુઆએ મેહુલ ચોકસીને ભારત પરત મોકલવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે.
એન્ટીગુઆ સરકારે કહ્યું હતું કે, ભારત સાથે પ્રત્યાર્પણ સંધિ થયેલી ન હોવાથી તેઓ મેહુલને ભારત નહીં મોકલે. સાથોસાથ ભારતે મેહુલ અંગે કરેલી ત્રણ મહત્ત્વની માગણીઓને પણ ફગાવી દીધી છે.
એન્ટીગુઆએ જણાવ્યું હતું કે મેહુલ ચોકસીએ નિયમ પ્રમાણે એન્ટીગુઆનું નાગરિકત્વ મેળવ્યું હોવાથી તેની ધરપકડ કરી શકાય નહીં. ભારતે એન્ટીગુઆ પાસે મેહુલની ધરપકડ કરી તેને ભારત મોકલવા સહિતની ત્રણ મુખ્ય માગણીઓ કરી હતી, જે તમામ માંગણીઓને એન્ટીગુઆ સરકાર તરફથી ફગાવી દેવામાં આવી છે.
આમ ભારતીય બેન્કોને અબજો રૂપિયાનો ચૂનો ચોપડી એન્ટીગુઆમાં આરામ ફરમાવી રહેલા મેહુલ ચોકસીને ભારત કઈ રીતે લાવવો તે ભારત માટે એક મોટો પડકાર બની જશે.
મેહુલ ચોકસી ઉપરાંત કૌભાંડનો સૂત્રધાર નિરવ મોદી પણ હાલ કયા દેશમાં છે તેની ભારતને કોઈ જ ખબર ન હોવાથી આ કૌભાંડીઓ ભારત આવશે કે કેમ? તેની ઉપર પણ મોટો પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેન્ક (PNB) ના 13 હજાર કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં નિરવ મોદી અને તેનો મામા મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે.
આ મામા અને ભાણેજે ભેગા મળીને બેન્ક પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. આ કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેની ભરપાઈ કરી ન હતી.
કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા પછી આ બંને મામો-ભાણેજ દેશ છોડીને ભાગી ગયા છે. જેમાં મામો મેહુલ ચોકસી એન્ટીગુઆ પહોંચી ગયો છે અને ત્યાંની સિટીજનશિપ પણ મેળવી લીધી છે. જયારે ભાણેજ નીરવ મોદી ક્યાં જઇને છુપાઈ ગયો છે તે અંગેની ભારત સરકાર પાસે કોઈ માહિતી જ ઉપલબ્ધ નથી.
