રૂદ્રપ્રયાગ: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવે પર રોડની કામગીરી દરમિયાન એક ભેખડ ધસી પડી હતી. જેના કારણે ભેખડની નીચે દટાઈ જતાં નવ મજૂરોના મોત નીપજ્યા હતા. જયારે પાંચ વ્યક્તિની હાલત ગંભીર ગણાવાય રહી છે.
આ દુર્ઘટના રૂદ્રપ્રયાગની નજીક કેદારનાથ હાઈવે પર આવેલા બાંસવાડામાં બની હતી. કહેવાય રહ્યું છે કે, અહિયાં ઓલ વેધર રોડની કામગીરી ચાલી રહી હતી. હજુ પણ ઘણાં મજૂરો દટાયેલા હોવાના અહેવાલ છે. સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ દરમિયાન થતી બરફબારી અને વરસાદના કારણે પહાડોમાં કામ કરવા માટે ઘણી મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સતત વરસાદ પડવાના કારણે પહાડો ઉપરથી ભેખડો ધસી પડવાનું જોખમ રહેલું છે, અને અહિયાં પણ આવું જ બન્યું હતું.
રોડની કામગીરી દરમિયાન કેટલાક મજૂરો પહાડની ભેખડની નજીકમાં જ કામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક પહાડની એક ભેખડ કામ કરી રહેલા મજૂરો પર ધસી પડી હતી. ભેખડની નીચે દબાઈ જવાના કારણે નવ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જયારે ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક પોલીસ તંત્ર તેમજ રાહત બચાવની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. રાહત બચાવ ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૩માં ઉત્તરાખંડના કેદારનાથમાં જ કુદરતી હોનારત આવી હતી. તે સમયે વાદળો ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું અને સમગ્ર ક્ષેત્રમાં પહાડોની ભેખડ અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી.