નવી દિલ્હી,
બસપા પ્રમુખ માયાવતીએ મૂર્તિઓ બનાવવા પાછળ પોતાની પર લાગેલા આરોપોનો સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરી માયાવતીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હાથીઓની મૂર્તિ સ્થાપવાનો નિર્ણય મારો નહોતો. એ તો લોકોની ઇચ્છા હતી. હું લોકોની ઇચ્છાનો અનાદર શી રીતે કરી શકું.
માયાવતી મુખ્યમંત્રી હતા ત્યારે હાથીઓની મૂર્તિઓ સ્થાપવા પાછળ પ્રજાના કરોડો રૂપિયા વેડફાયા હતા. એવા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટે માયાવતી પાસે ખુલાસો માગ્યો હતો.
માયાવતીએ 2007થી 2011 વચ્ચે લખનઉ અને નોયડામાં પોતાની અને તેમની પાર્ટીની ચિન્હ હાથીની પ્રતિમાઓ લગડાવી હતી. આ અંગે ટીપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માયાવતીએ પ્રતિમાઓ પર ખર્ચેલ જનતાના પૈસા પરત કરવા પડશે.
માયાવતીએ આજે સુપ્રીમમાં રજૂ કરેલી એફિડેવિટમાં એવો દાવો કર્યો હતો કે આ નિર્ણય સમગ્ર વિધાનસભાનો હતો.
વિધાનસભા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી છે. વિધાનસભાએ લીધેલો નિર્ણય લોકોની ઇચ્છા સમાન હતો. મુખ્યમંત્રી તરીકે લોકોની ઇચ્છાનો અમલ કરવાની મારી ફરજ હતી એટલે મેં હાથીઓની મૂર્તિઓ પાછળ ખર્ચ કર્યો હતો.
આની પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે માયાવતીને કહ્યું હતું કે હાથીઓની મૂર્તિઓ પાછળ થયેલા ખર્ચના નાણાં તમારે સરકારી તીજોરીમાં જમા કરાવવા પડશે. કેસ હજુ ચાલુ છે.