આપણા દેશમાં લોકશાહી સમાજવાદ બિનસાંપ્રદાયિકતા નઇ રોશની આઇ હૈ, અચ્છે દિન આયેંગે, રામ રાજય લાયેંગે, સબકા પ્રયાસ સહીત ઘણી વાતો થાય છે. ચૂંટણી ટાણે તો રામ રાજયની પણ વાતો થાય છે પરંતુ રામ રાજયની વાતો કરનારાઓને ભગવાન રામના રાજયમાં લોકોની સુખાકારી કલ્યાણને કેવુ મહત્વ અપાતુ હતુ. નાનામાં નાના માનવીની વાત સંભળાતી હતી. ભગવાન શ્રી કૃષ્ણના શાસનમાં પણ કલ્યાણનો અનુભવ કર્યો હતો. ભગવાન રામ કૃષ્ણની વાતો કરનારાઓ કોઇપણ હોય પરંતુ પ્રજા માટે સુખાકારીનો અનુભવ થયો છે ખરો ? જેટલી વાતો થાય છે તેટલુ કામ લોકો માટે થાય છે ખરૂ ?
વર્ષ ૨૦૧૩ માં કાળજાળ મોંઘવારીનો કકળાટ થતો હતો. રૂપિયો ડોલર સામે ગગડીને ૫૩ સુધી પહોંચ્યો હતો તેને ભ્રષ્ટાચાર અને કુશાન સાથે સાંકળવામાં આવ્યો. લોકો અગાઉના દસ વર્ષના શાસનથી કંટાળી ગયા છે તેમ માની અચ્છે દિનનો વાયદો આપનારાઓને સત્તાના સુત્રો સોંપ્યા. પરિવર્તન જરૂરી હતુ. લોકોની આકાંક્ષાઓ સંતોષવામાં અગાઉના શાસકો નિષ્ફળ ગયા હતા માટે તેમને વિદાય લેવાનો વારો આવ્યો. નવા શાસનના પાંચ વર્ષ અને નવુ શાસન રીપીટ થયાને દોઢ બે વર્ષ પુરા થયા પણ શુ ખરેખર લોકોનું જીવન ધોરણ સુધર્યુ છે ખરૂ ? લોકોને બજારમાંથી પહેલા કરતા (૨૦૧૪ પહેલા) જે ભાવે ચીજ વસ્તુ મળતી હતી તે ભાવે મળે છે ખરી ? આનો જવાબ તો રાજકારણીઓ નહીં પણ લોકો જ આપી શકે.એવા લોકો કે જેને બજારમાં ખરીદી માટે જવુ પડે છે. વધારાની આવક નથી. બાંધી આવકમાં ઘર ચલાવવાનું છે.
૨૦૧૪ માં રૂ.૭પ પ્રતિ લીટરના ભાવે મળતુ પેટ્રોલ આજે રૂ.૧૦૦ ને વટાવી ગયુ છે. રૂ.૬૦ના ભાવે મળતુ ડિઝલ પણ રૂ. એક સો સુધી પહોંચવા આવ્યું છે. ઘેર ઘેર વપરાતા રાંધણગેસનો બાટલો સાત વર્ષ પહેલા રૂ.૪૧૦ ના ભાવે મળતો હતો,આજે લોકને સીધા બમણા કરતા વધુ એટલે કે ૮૩૫ તો શહેર પ્રમાણે ઓછામાં ઓછા ચુકવવા પડે છે. દાળના ભાવ પહેલા ૭૦ થી ૧૦૦ વચ્ચે હતા. આજે મોટાભાગની સારી કવોલીટીની દાળના ભાવ રૂ.૧૫૦ થી ૧૭૦ વચ્ચે છે. ઘઉંનો લોટ પહેલા ૧૮ રૂપિયે કિલો મળતો હતો, આજે રૂ.૩૦ થી ૩૨ ના ભાવે મળે છે. આપણા ભાલીયા ઘઉંનો લોટ તો બજારમાં મળવો મુશ્કેલ છે. (જો કે આપણા ઘણા કુટુંબો ઘઉં ખરીદે છે તેમનો પણ અનુભવ છે કે ૨૦૧૪ માં જે ભાવે ઘઉંની ગુણ મળતી હતી તેના દોઢા કે બમણા ભાવ આજે ચુકવવા પડે છે) શુઘ્ધ ઘી પહેલા રૂ.૩રપ થી ૩૫૦ માં મળતું, આજે આ ભાવ વધીને ૫૦૦ થી ૬૦૦ થઈ ગયો છે. તેલના ભાવ જોઇએ તો ૨૦૧૪ ના મે માસ પહેલારૂ.૬૦ થી ૬૫ રૂપિયે કિલોના ભાવે મળતુ સીંગતેલ હાલ 160 થી 180ના ભાવે મળે છે. કપાસીયા તેલના ભાવ શીંગતેલની જેટલા જ હોય તેવુ આઝાદી બાદ પહેલી વાર બન્યુ છે. ૨૦૧૪ પહેલા દુધ રૂ.૩૦ નું લીટર હતુ આજે આ ભાવ વધીને સીધા રૂ.૪૮ થી ૫૬ વચ્ચે પહોંચી ગયા છે. પહેલા રૂ.રર પ્રતિ કિલોના ભાવે મળતી ખાંડ અત્યારે રૂ.૪૦ થી ૪૨ ના ભાવે મળે છે.
આ તો મુખ્ય ચીજોની વાત છે અને ઓછી અને બાંધી આવકવાળા જુથના નાગરીકે પોતાના રોજિંદા અનુભવના નીચોડના આધારે કાઢેલા ભાવ છે. હવે ઘણા લોકો એવા પણ હશે કે જેઓ ટીફીન પર નભતા હશે.હોટલ,ડાઇનીંગ હોલ પર આધાર રાખતા હશે. ૨૦૧૪ માં જે ફીકસ થાળી કે ફીકસ આઇટમ વાળુ ટીકીન રૂ.રપ થી ૩૦ કે માત્ર બે જ આઇટમ જેના તો માત્ર ૧૫ રૂપિયા લેવાતા હતાતે થાળી કે ટીફીન હાલ ૬૦ થી ઓછા ભાવે મળતુ નથી. પુરી અને શાક જમો તો પણ રૂ.૩૦ થી ૪૦ વચ્ચે ચુકવવા પડે છે. કેટલાક સ્થળે રૂ.૪પ પણ લેવાય છે. ઘણા લોકોને રૂ.૧૦૦ ના ભાવે પણ ટીફીન આવે છેે તે પણ હકીકત છે.મોટા ડાઇનીંગ હોલની અનલીમીટેડ થાળીના ભાવ નાના મોટા તમામ નગરોમાં ૧૬૦ થી શરૂ કરી રૂ.૩૦૦ સુધીના છે. વતાનુકુલીત ડાઇનીંગ હોલમાં તો આનાથી પણ વધુ ચુકવવા પડે છે.
ચાની ભુકી ૨૦૧૪ માં ર૭૦ થી ૩૦૦ રૂપિયે કિલોના ભાવે હતી,જે હાલ રૂ.૪૫૦ થી ઓછા ભાવે મળતી નથી. તેલ સહીતની ચીજોમાં ભાવ વધારે હોય પછી ફરસાણના ભાવો તો વધારે હોવાનાજ. ફરસાણ લોકોને રાબેતા મુજબના દિવસોમાં રૂ.ર૦૦ ના કિલોથી ઓછા ભાવે વેચવાવાળા કોક જ વીરલા નીકળે છે. મીઠાઇમાં તો દુકાન પ્રમાણે ભાવ હોય છે. મીઠાઇ અત્યારે લગભગ લકઝીરીયસ કે પ્રસંગોપાત ખાવાની આઇટમની વ્યાખ્યામાં આવી ગઇ છે. એટલે તે તહેવારો પણ કોઇ જ્ઞાતિ સામાજીક સંસ્થા કે મંડળો દ્વારા રાહત દરે મીઠાઇનું વિતરણ થાય ત્યારે તે ખરીદવા લોકો પડાપડી કરે છે.
૨૦૦૪ થી ર૦૧૪ ના સમય ગાળામાં દરેક ચીજોના ભાવ ૧૫ થી ર૦ ટકા વઘ્યા હતા તે અત્યારના ભાવ વધારાને બચાવ કરનારાઓની દલીલ સાચી છે, પરંતુ આ જ ભાવવધારાને મુદ્દો બનાવી સત્તા પર આવેલાઓ શાસનના પ્રથમ સાત વર્ષમાં જ ૩૦ ટકા ભાવ વધારો થાય તો તેનો શું અર્થ સમજવો. ભુતકાળના શાસકોએ મોંઘવારી વધારી એટલે તો તેમને ઘેર બેસવાનો વારો આવ્યો પણ આ શાસકોની નિષ્ફળતાનો લાભ ઉઠાવી સત્તા પર આવેલા પક્ષના રાજમાં અગાઉ કરતા અનેક ગણા ભાવ કેમ વધે છે ?
ભલે ઘણા લોકો એમ કહેતા હોય કે કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબુદ કરી,રામમંદિર બંધાય છે આ બધી વાત સાચી પણ ભગવાન રામે પોતાના જીવનમાં વચનના પાલન અને રાજધર્મ પાળવાની જે પરંપરા સર્જી હતી તે અત્યારે દેખાય છે ખરી ? ૨૦૧૪ માં અપાયેલા વચન પ્રમાણે લોકોની આવકમાં વધારો થશે અને ખર્ચમાં ઘટાડો થશે,અચ્છે દિન આવશે તે વાયદા પ્રમાણે લોકોના અચ્છે દીન આવ્યા છે ખરા ?
લોકોને કયો પક્ષ સત્તા પર છે તેની સાથે કોઇ મતલબ નથી. લોકોને તે પોતાના ઘરનુ બજેટ ખોરવાઇ ના જાય તેવા ભાવે જીવન જરૂરી ચીજો મળે તેમાં વધુ રસ છે. બાકી રાષ્ટ્રવાદ કે ધર્મની વાતો વડે લોકોની ભુખ ભુલાવી દેવાની વાત થાય તે કોઇપણ રીતે યોગ્ય નથી અને વ્યાજબી પણ નથી. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યુ છે અને ભજનોમાં પણ ગવાયુ છે કે ભુખ્યા પેટે ભજન ન થાય લોકો તૃપ્ત રહે તેવુ શાસન જ સુશાસન કહેવાય અને આજ સાચી રાષ્ટ્રભકિત છે.