તાઈવાનના પૂર્વોત્તર વિસ્તારમાં ટ્રેન પાટા પરથી ઉતરી પડતા ૧૮ લોકોના મોત થઈ ગયા અને ૧૨૦થી વધુ લોકો ઘાયલ થયા.
આ દુર્ઘટના ઈલાન કાઉન્ટીમાં સર્જાઈ હતી, જ્યારે ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા.
તાઈવાન રેલવે દ્વારા નિવેદન જાહેર કરીને જણાવાયુ કે, આ દુર્ઘટનામાં ૧૭ લોકોના મોત થયા છે અને ૧૨૬ લોકો ઘાયલ થયા છે. હાઈસ્પીડ પુયુમા એક્સપ્રેસને અકસ્માત નડ્યા ત્યારે તે તાઈપેઈના ઉપનગર તાઈતુંગ તરફ જઈ રહી હતી.
આ દરમિયાન ટ્રેનમાં ૩૦૦ મુસાફરો સવાર હતા. ટ્રેન સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ ૪ઃ૫૦ વાગ્યે પાટા પરથી ખડી પડી હતી.
આ ટ્રેન ૬ વર્ષ જુની હતી અને ગત વર્ષે તેનુ ઈન્સપેક્શન તથા મોટું મેઈન્ટેનન્સ પણ કરવામાં આવ્યુ હતું.
જાકે હજી સુધી દુર્ઘટના કયા કારણસર સર્જાઈ તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
સ્થાનિક મીડિયાએ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યુ કે, તેમણે એક મોટો અવાજ સાંભળ્યો. ત્યારબાદ લોકોની બુમો સાંભળી અને ટ્રેનમાંથી ધુમાડો નીકળતો દેખાયો. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરુ કરી દેવામાં આવી હતી.
ફાયરબ્રિગેડ તેમજ સ્વાસ્થ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમણે ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
તમને જણાવી દઈએ કે વર્ષ ૧૯૯૧માં પણ ટ્રેનનો ભયાનક અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૩૦ પેસેન્જરના મોત થયા હતા જયારે ૧૧૨થી વધુ લોકો ઘાયલ થયા હતા.