વિનાશક વાવાઝોડાના લીધે ખેડા જિલ્લામાં ભારે નુકશાન થયું છે. મકાન, વિવિધ પાક, વૃક્ષો, શાકભાજી, વીજપોલ સહીત ઘણા પરિવારો બેઘર બની ગયા છે. આ તમામને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય તાત્કાલિક મળે તે માટે નડીયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, મહેસુલ પ્રધાન કૌશિકભાઇ પટેલ અને કૃષિ પ્રધાન આર.સી.ફળદુને ખાસ ભલામણ પત્ર દ્વારા રજૂઆત કરી છે.
વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ ભલામણ પત્રમાં જણાવ્યું છે કે વિનાશક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અતિભારે વરસાદ સાથે 70 કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો. જેમાં રાજ્યભરમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નડીયાદ તાલુકામાં અને 6 ઇંચ સમગ્ર ખેડા જિલ્લામાં ખાબક્યો હતો.તોફાની પવન અને વરસાદે ભારે તારાજી સર્જી હતી. ઉનાળાની ઋતુમાં ખેતરમાં ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે. ખેડુતોનો 75 ટકા પાક નિષ્ફળ થઇ ગયો છે. પશુધનને પણ નુકસાન થયું છે. ખેડુતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સાથે-સાથે 400 ગામોનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જિલ્લામાં નાના ઝુંપડા-છાપરાને પણ અતિભારે નુકસાન થયું છે. કેટલાક પરિવારો બેઘર બની ગયા છે.
