- 300થી પણ વધુના મોત બાદ ઇરાન સરકારે લીધો નિર્ણય
- આંતરરાષ્ટ્રીય સ્તરે બગડતી જતી છાપના લીધે ઇરાન ગભરાયું
- મ્હાસા અમીનીના મોત પછી ઇરાનની પ્રજા રસ્તા પર ઉતરી આવી હતી
ઇરાનની સરકાર છેવટે મોરલ પોલીસ કે નૈતિકતા પોલીસને ખતમ કરવાના જન આંદોલન સમક્ષ ઝૂકી ગઈ છે. તેણે 300થી પણ વધુ લોકોના મોત બાદ નૈતિકતા પોલીસને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું આ પગલું ઇરાનના પ્રચંડ જનઆંદોલન પછી સરકાર પર સર્જાયેલા દબાણનું પરિણામ માનવામાં આવે છે.
આ જનઆંદોલનના લીધે અને પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા સામાન્ય પ્રજા પર કરવામાં આવતા ગોળીબારથી 300થી પણ વધુ દેખાવકારોના મોત થયા હતા. તેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઇરાનની છબી ખરડાતી જતી હતી.
ઇરાનમાં મહસા અમીનીની નૈતિકતા પોલીસે ધરપકડ કર્યા પછી તેનું કસ્ટડીમાં મોત થયું હતું. 22 વર્ષીય મહસા અમીનીની નૈતિકતા પોલીસે ધરપકડ કરી હતી. મહિલા ડ્રેસ કોડનો ભંગ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
તેના પગલે સમગ્ર ઇરાનમાં વિરોધનો જુવાળ ફેલાયો હતો. સરકારના અનેક પ્રયાસો છતાંપણ આંદોલન અંકુશમાં આવ્યું ન હતું. પરિસ્થિતિ તો ત્યાં હદ સુધી વણસી કે કતારમાં ચાલતા ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇરાનની ફૂટબોલ ટીમે રાષ્ટ્રગીત ગાવાનો ઇન્કાર કરી દીધો હતો.
ઇરાનની સરકારનું કહેવું છે કે નૈતિકતા પોલીસને કોર્ટના તંત્ર સાથે કોઈ લેવાદેવા નથી. તેથી તેને ખતમ કરવામાં આવે છે. ઇરાનની આ નૈતિકતા પોલીસને ગશ્તએ ઇરશાદ અથવા ગશ્તી તરીકે ઓળખાય છે. રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે વિનમ્રતા અને હિજાબની સંસ્કૃતિને ફેલાવવા તેની સ્થાપના કરી હતી.
મુખ્યત્વે મુસ્લિમ મહિલાઓ ઇસ્લામિક પોશાક જ પહેરે તે આ ગશ્તએ ઇરશાદ પોલીસનો કાફલો નક્કી કરે છે. આ ઉપરાંત તે મહિલાઓના વસ્ત્રો વધુ પડતા ચુસ્ત નથી, શરીરના અંગ વધુ પડતા દેખાતા નથી, સ્લીવ્સ ઉપર નથી કે જીન્સ ફાટેલું નથી તે જુએ છે. આમાથી કોઈપણ નિયમનો ભંગ કરનારને અટકાયત કેન્દ્રમાં લઈ જવાય છે.
ઇરાનીઓ માને છે કે આ નૈતિકતા પોલીસ બીજું કશું નહી પણ લોકોને અંકુશમાં રાખવાની સરકારની એક પદ્ધતિ હતી. આ રીતે તેઓ મહિલાઓ એટલે કે દેશની અડધી વસ્તીને અંકુશમાં રાખી શકતા હતા. તેને નૈતિકતા સાથે પણ કોઈ લેવાદેવા નથી. આ દળનો ઉપયોગ મુખ્યત્વે મહિલાઓને હેરાન પરેશાન કરવા તથા ધાકમાં રાખવા થતો હતો. તેઓ મહિલાઓના માર્ગે પુરુષોને અંકુશમાં રાખીને કોઈપણ પ્રકારના પરિવર્તનને અટકાવવા તેનો ઉપયોગ કરતા હતા.
આ પણ વાંચોઃ