ઇઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારતા સુરક્ષા દળોએ ઇજિપ્તની સરહદ નજીક ગાઝાના દક્ષિણી શહેર રફાહમાં હવાઈ હુમલાઓ તીવ્ર કર્યા છે. ઇઝરાયલે સોમવારે વહેલી સવારે એક એપાર્ટમેન્ટ નજીક ભારે ગોળીબાર કરીને નાટકીય રીતે બે બંધકોને મુક્ત કર્યા હતા. ઈઝરાયેલ આને પોતાની સૌથી મોટી સફળતા માની રહ્યું છે. આ અભિયાન દરમિયાન મહિલાઓ અને બાળકો સહિત 74 પેલેસ્ટાઈનોએ જીવ ગુમાવ્યા હતા.
ઉત્તરી ગાઝા અને દક્ષિણ ખાન યુનિસમાં ઇઝરાયેલી દળોના અભિયાન પછી, લગભગ 1.4 મિલિયન પેલેસ્ટિનિયનો પોતાનો જીવ બચાવવા માટે રફાહમાં આશ્રય લઈ રહ્યા છે. રફાહ પર ઈઝરાયેલના ગોળીબારના કારણે યુએનની સહાય એજન્સીઓ ચિંતાતુર બની ગઈ છે. તે જ સમયે, ઇઝરાયલ બે બંધકોની મુક્તિથી ઉત્સાહિત છે. સૈન્યએ બચાવેલા બંધકોની ઓળખ 60 વર્ષીય ફર્નાન્ડો સિમોન માર્મોન અને 70 વર્ષીય લુઈસ હર તરીકે કરી હતી.
હમાસના આતંકવાદીઓએ ગયા વર્ષે 7 ઓક્ટોબરે સરહદ પારના હુમલામાં કિબુત્ઝ નીર યિત્ઝક પાસેથી તેમનું અપહરણ કરતાં યુદ્ધ શરૂ થયું હતું. પીએમ બેન્જામિન નેતન્યાહુના સત્તાવાર સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું કે બંને બંધકો પાસે આર્જેન્ટિનાની નાગરિકતા પણ છે. ઓક્ટોબરના હુમલામાં હમાસ અને અન્ય આતંકવાદીઓએ 250 નાગરિકો અને સૈનિકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી 100થી વધુ બંધકો હજુ પણ આતંકવાદીઓની કસ્ટડીમાં છે. ઈઝરાયલની સાથે સાથે અમેરિકા, ઈજિપ્ત અને કતાર સહિતના ઘણા દેશો બંધકોની સુરક્ષિત મુક્તિ અને ગાઝામાં કાયમી યુદ્ધવિરામ માટે પ્રયાસ કરી રહ્યા છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના જવાબી હુમલાઓમાં અત્યાર સુધીમાં 28,175 પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા છે, જેમાં 12,300 થી વધુ સગીરો અને લગભગ 8,400 મહિલાઓનો સમાવેશ થાય છે. એટલે કે માર્યા ગયેલા લોકોમાંથી 43 ટકા સગીર છે. જો કે, મંત્રાલયે નાગરિકો અને લડવૈયાઓ વચ્ચે તફાવત કર્યો નથી. તે જ સમયે, ઇઝરાયેલનો દાવો છે કે તેણે યુદ્ધમાં હજારો લડવૈયાઓને માર્યા છે. આ સમયે તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાકીના બંધકોની સુરક્ષિત મુક્તિ છે, આ માટે તે કડક કાર્યવાહી કરીને હમાસ પર દબાણ લાવવા માંગે છે. ઇઝરાયલ અને ગાઝાનું યુદ્ધને હવે પાંચમા મહિના થવા છતાં કોઈ ઉકેલ આવતો જણાતો નથી. ઈઝરાયેલ રફાહને હમાસનો છેલ્લો ગઢ માને છે જેના પર તે નિયંત્રણ ઈચ્છે છે.
ઇઝરાયેલી સરકારના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે ઓક્ટોબરથી ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીમાં હવે અડધાથી વધુ હમાસ લડવૈયાઓ માર્યા ગયા છે. પ્રવક્તા એલોન લેવીએ એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે 12,000 થી વધુ બંદૂકધારી ઇઝરાયલી દળો દ્વારા માર્યા ગયા હતા અથવા તેમને પકડી લેવામાં આવ્યા હતા. યમનના હુથી બળવાખોરોએ સોમવારે બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાં ઈરાની બંદર માટે બંધાયેલા જહાજ પર બે મિસાઈલો છોડ્યા હતા, જેના કારણે સામાન્ય નુકસાન થયું હતું પરંતુ વહાણના ક્રૂને કોઈ ઈજા થઈ ન હતી.
ઘણા પશ્ચિમી નેતાઓએ ઇઝરાયેલના ગાઝા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ તેઓ ઇઝરાયેલને સમર્થન ચાલુ રાખે છે. દરમિયાન, ડચ અપીલ કોર્ટે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના ઉલ્લંઘનની આશંકાથી ઇઝરાયેલને F-35 ફાઇટર પ્લેનના ભાગોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. યુએસ પ્રમુખ જો બિડેને રવિવારે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂને કહ્યું હતું કે ઇઝરાયેલે નાગરિકો માટે નક્કર સુરક્ષા યોજના વિના રફાહમાં સૈન્ય કાર્યવાહી ન કરવી જોઇએ.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ