Janani:આજનાં બાળકો હાઈપર એક્ટિવ હોય છે. ત્યારે ખાસ કરીને માતા માટે આવા બાળકોને સાચવવા અને સમજવા બને અઘરું બની જતું હોય છે, ત્યારે એક એવો કાર્યક્રમ છે જ્યાં માતાએ બાળકો સાથે કેવી રીતે મેનેજ કરવું, તેમની વાતોને, તેમના પ્રશ્નોને કેવી રીતે સમજવા, તેનું નિરાકરણ કેવી રીતે લાવવું જેવા અનેક મુદ્દાઓ વિશે સમજાવવામાં આવે છે અને આ કાર્યક્રમ એટલે જનની. નિઃશુલ્ક ચાલતા આ કાર્યક્રમમાં કોઈ પણ માતા પોતાની ઇચ્છાથી જોડાઈ શકે છે.
આજે ફરી સાત વર્ષનો રુતુલ પોતાની માતા કૌમુદી સાથે ગમે તેમ વાત કરી રહ્યો હતો. હજુ તો તે ઘણો નાનો હતો છતાં તે પોતાની જીદ મનાવવા કૌમુદીને કેટલુંય બોલી ગયો. કૌમુદી પણ તેને સામે લાલ આંખ બતાવતા બોલતી હતી કે તારા કરતાં તો આ બાજુવાળોનો ચિન્મય સારો, તેની સાથે રમે છે તો પણ તેના જેવું કશું શીખતો નથી, બસ, આખો દિવસ મોબાઇલ લઈને બેસી રહે છે અને મારી સામે જેમ તેમ બોલે છે. અમે તો કોઈ દી અમારાં મા-બાપ સામે નહોતા બોલતા. રુતુલ ફરી બોલે છે, ચિન્મયની મમ્મી તમારા કરતાં વધારે સારી છે અને પછી કેટકેટલુંય કૌમુદીની સામે બોલવા લાગ્યો. ગુસ્સામાં આવી કૌમુદીએ રુતુલને ખૂબ માર્યો, એટલે તે રડતાં.રડતાં પોતાના રૂમ તરફ જતો રહ્યો અને કૌમુદી ગુસ્સામાં ને ગુસ્સામાં સોફા પર ફસડાઈ પડી. મનોમન વિચારતી હતી કે આને કેવી રીતે સાચવવો, એક છે પણ સો બરાબર, કોઈ વાતે સમજતો જ નથી. શું કરું, કેવી રીતે આને સમજાવું, ઘરના, બહારના હજારો ટેન્શન ઓછા છે કે આનું એક ટેન્શન વધી ગયું. એટલામાં બાજુમાંથી ચિન્મયની માતા હંસિકા આવી અને કૌમુદીને કહેવા લાગી કે આટલું બધું તો છોકરાને કંઈ મરાતું હોય, કંઈક આડું-અવળું વાગી જશે, તો તારે જ લેવાના-દેવા થઈ જશે. કૌમુદી અને હંસિકા સારાં મિત્ર હતાં માટે કૌમુદી તેની આગળ રડવા લાગી અને કહ્યું કે યાર, આ રુતુલ તો દિવસે ને દિવસે વધુ ને વધુ બતતમીજ થતો જાય છે. શું કરું, સમજાતું નથી, તારો ચિન્મય જો, કેવો શાંત છે. ત્યારે હંસિકા કહે છે કે, જો આપણાં સંતાનોનો ઉછેર કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે. ઘણી વખત અજાણતા પણ આપણાથી એવું બોલાઈ જતું હોય છે કે બાળકોના મગજ પર અસર થાય. તું એક કામ કર, મારી સાથે જનનીના કાર્યક્રમમાં આવજે, ત્યાં તને તારા દરેક સવાલોના જવાબ મળશે. એટલું જ નહીં, બાળકોનો યોગ્ય ઉછેર કેવી રીતે કરવો, તેમની સાથે કેવી રીતે દરેક વાતની ડીલ કરવી અને તેમને સમજવા શું કરવું જેવી અઢળક વાતો તેને જાણવા મળશે અને મને વિશ્વાસ છે કે તું ત્યાં આવીશ પછી રુતુલને સારી રીતે સમજાવી શકીશ, તેને સમજી પણ શકીશ.
જી હા, ગુજરાતના અંકલેશ્વરમાં સંસ્કારદીપ ટ્રસ્ટ સમર્થિત કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં કોઈ પણ મહિલા, માતાઓ, ભાગ લઈ શકે છે. દર મહિનાની છેલ્લી તારીખે આ કાર્યક્રમનું આયોજન થાય છે. જેમાં એવી વ્યક્તિઓ આવે છે, જે સાચા અર્થમાં માતાઓની સમસ્યાઓનું નિવારણ કરી શકે. દર મહિને જુદા-જુદા તત્ત્વચિંતક, શિક્ષણવિદો, લેખિકાઓ, કવયિત્રી અને અનેક વિદ્વાનો માતાઓ માટે બાળ ઉછેર માટેના જુદા-જુદા વિષયો લઈને આવે છે. એટલું જ નહીં, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ માતાઓ દ્ધારા જ કરવામાં આવે છે. જેના કારણે તેમનામાં આત્મવિશ્વાસ વધે અને તે પોતાનાં બાળકોમાં તેનું સિંચન કરી શકે.
પોતાનું બાળક શ્રેષ્ઠ બને તેવા દરેક માતાના પ્રયાસો
આ વિશે મંતવ્ય સાથે વાત કરતા સંસ્કારદીપ ટ્રસ્ટના ડાયરેક્ટર સુધા વડાગામાએ કહ્યું કે, સ્વર્ગનું સુખ માતાના ચરણોમાં છે, આ ઉક્તિ સાર્થક કરવા અને આજના આધુનિક યુગ સાથે તાલમેલ બેસાડવા માટે પરિવારની નાવમાં સંસ્કારના પાયાની તાતી જરૂર છે.(Janani) આમ તો શાળા, સમાજ અને કુટુંબ એ એકબીજાને જોડતી કડી છે. જેમાં બાળકના ઘડતરમાં કુટુંબનો ફાળો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને કુટુંબમાં બાળકના સંસ્કાર સિંચનમાં સૌથી વધુ ને સુંદર કાર્ય કરી શકે તે છે મા. વધુમાં તેઓ કહે છે, પોતાનું બાળક શ્રેષ્ઠ બને તેવા દરેક માતાના પ્રયાસો હોય છે. જેમાં ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા મળે છે, પરંતુ નિષ્ફળતાના કારણે ઘણીવાર બાળકોનો દોષ દેખાવા લાગે છે. વાસ્તવમાં આ બાબતે ગહન ચિંતન-મંથન કરી નવનીત તારવામાં આવે તો સમજાય કે નાનપણથી જ બાળ ઉછેર અને માવજતમાં ક્યાંક કચાશ રહી છે. આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે દરેક માતા જાગૃત બને એ માટેના સઘન પ્રયાસો આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવે છે.
જનની શરૂઆત 2007માં થઇ હતી,(Janani) તે સમયે આશાબેન થાનકી પ્રથમ વખત આવ્યા હતા, ત્યારં તેમણે માતૃત્વ પર વાત કરી હતી. પરંતુ તેમનું કહેવુ હતુ કે જનની આ રીતે વધુ સમય ચાલશે નહીં, કારણ કે તમે એક જ વિષય પર કેટલી વખત વાત કરી શકશો. પરંતુ જનનીમાં બાળ ઉછેરની સાથે સાથે બાળકના આરોગ્ય, તેના ખોરાક, તેના રસ-રુચી અને તેની સાથે જોડાયેલા તમામ પ્રશ્નો પર વાત કરીને માતાઓને બાળકો સાથે કેવી રીતે મેનેજ કરવુ તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને આજકાલ કરતા જનનીને પંદરેક વર્ષ થઇ ગયા. અને આજે પણ માતાઓ અહિં એટલા જ ઉત્સાહ સાથે આવે છે. માતાઓને પ્રોત્સાહન મળે તે માટે જુદા-જુદા પોગ્રામ પણ કરવામાં આવે છે. જેમાં ક્વિઝ કોમ્પીટીશન, હાલરડા કોમ્પીટીશન, જુદા-જુદી થીમ પર નાટક વગેરે ઘણા પોગ્રામ હોય છે. જેનાથી માતાઓમાં પોઝીટીવીટી આવે સાથે બાળકોમાં પણ તેનું સંચાર થઇ શકે. જગતની તમામ સમસ્યાઓનું નિદાન મતાના ખોળામાં છે. માતા વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે.
..અને જનની ચિંતનસભાની રચના થઇ
સંસ્કારદીપ ટ્રસ્ટના અધ્યક્ષ નારાણભાઇ નાવડિયા મંતવ્ય સાથે વાત કરતા કહે છે કે, હું ચીન એક સાયન્સ સેન્ટરની મુલાકાતે ગયો હતો ત્યાં મેં જોયું તો 90 ટકા બાળકો તેમની માતા સાથે મુલાકાત માટે આવ્યા હતા. પરંતુ આપણા ત્યાં આનાથી જુદી પરિસ્થિતી હોય છે. તે સમયે જ મને વિચાર આવ્યો કે આપણે પણ આજની ફાસ્ટ જનરેશનમાં માતાઓને બાળકો સાથે તાલમેલ બેસાડતા કરવી પડશે. આ વિચારની ચર્ચા કરી અને જનની (Janani)ચિંતનસભાની રચના થઇ. આ કાર્યક્રમ શરૂ થયો ત્યારે થોડી માતાઓ જ આવી હતી. પછી તો અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં આવેલી સાત શાળાઓ જોડાઇ અને તેની સાથે શાળામાં ભણતા તમામ વિદ્યાર્થિઓની મતાઓ પણ જનનીમાં આવવા લાગી. આ કાર્યક્રમ થકી અમે કેળવણીને માતાના માધ્યમથી જોવાનો અભિગમ કેળવ્યો છે.
જનની સભામાં માત્ર વક્તવ્યો જ નહીં પરંતુ માતા માટે ક્વિઝ, જુગરાતી અંતાક્ષરી, રમતગમત, માતા, દ્ધારા બાળકોને પત્રલેખન, બૂર રિવ્યૂ, નાટિકા જેવી અનેક પ્રવૃતિ કરવામાં આવે છે. જેનાથી માતાને પ્રશિક્ષિત કરીને એમની અંદર માતૃભાષાને સમૃદ્ધ કરવાનું કાર્ય થાય. તો વળી જનનીમાં માતા સ્વરૂપે(Janani) આવતિ મહિલાઓમાં સાસુ-વહુ, નણંદ-બહેન, જેઠાણી-દેરાણી જેવી હોય છે. સાથે આવીને પોતાના બાળકોના હીતમાં વાત સાંભળતા તેમની અંદરો અંદરની લડાઇ હોય તો પણ તેનો અંત આણે છે.
બાળકો સાથે માતાઓ પણ આવે છે બાલવાટિકામાં
હવે તો જનની સભાની પ્રવૃતિનું વિસ્તરણ થયું છે. જેમાં અઢીથી ત્રણ વર્ષના બાળકો માટેની આ બાલવાટિકા અનોખી છે. આ બાલવાટિકામાં અભ્યાસ માટે માત્ર બાળકોએ જ નહીં પરંતુ તેમની માતાએ પણ આવવાનું હોય છે. જી, હા કદાચ ગુજરાતની આ પ્રથમ બાલવાટિકા હશે જ્યાં બાળક સાથે તેમની મમ્મી પણ શાળાએ જાય 9થી 11 એમ બે કલાક માટે માતા પોતાના બાળક સાથે જ રહે છે. જેમાં અભ્યાસની સાથે બાળ કેળવણીનું પણ કાર્ય થાય છે. તો વળી પત્રલેખન જેવા કાર્યક્રમથી માતા અને બાળક વચ્ચે એક નવો જ સેતુ બંધાય છે.(Janani) જેમાં માતા પોતાના સંતાનોને પત્ર લખે છે. ઘણીવાર પત્રમાં ખુબ પ્રેમ તો ઘણીવાર થોડી સમજાવટ પણ હોય, ક્યારેક સારા ઉદાહરણો આપી બાળકને પ્રોત્સાહિત કરવાની વાત તો ક્યારેક સાહસની વાત. આવા પત્ર જનની ચિંતનસભા પુસ્તક તરીકે સંપાદિત કરીને સંતાનોને સરપ્રાઇઝ આપે. ત્યારે સંતાનો પણ પોતાની મતા દ્ધારા લખવામાં આવેલા પત્ર વાંચીને જુદી જ લાગણીની અનુભૂતિ કરે છે. આવા તો અનેક કાર્યક્રમો દ્ધારા માતાને સંતાનોને નજીક લઇ જઇ તેમના મનની વાતોને સમજાવવામાં આવે છે.
દીકરીને ઉછેરવા માટે નવી દ્ધષ્ટિ મળી
જનની શરૂ થઇ ત્યારથી જ તેમાં માતા તરીકે આવતા અંકલેશ્વરના દિપ્તી જોષી મંતવ્ય સાથે વાત કરતા કહે છે, અત્યારે તો મારી દિકરી એસએસસીમાં અભ્યાસ કરે છે. પરંતુ જનનીમાં આવવાથી મને મારી દીકરીને ઉછેરવા માટે નવી દ્ધષ્ટિ મળી છે. ભારતભરમાં આવો કાર્યક્રમ બીજે કયાય થતો હોય તેવુ મારી જાણમાં નથી. ગુજરાત અને ગુજરાત બહારના અનેક શ્રેષ્ઠ વક્તાઓને સાંભળવાનો મળવાનો લહાવો મળ્યો છે.(Janani) જનનીમાંથી જે પણ મને શીખવા મળ્યું તેના કારણે હું મારી દીકરીની મિત્ર બની શકી. મારી દિકરી સુહાનીમાં હું જે પણ સુંદર વિચારોનું સિંચન કરી શકી છું, તેના કારણે તેનામાં કોમળતા આવી છે. આજે મને ગર્વ છે કે હું તેને સારા સંસ્કાર આપવામાં સફળ નિવડી છું. સાથે જ મારી પ્રતિભાને નિખારવાની પણ તક મળી છે.
અંકલેશ્વરની ભૂમી પર ચાલતા જનની ચિંતનસભાનું આયોજન સમગ્ર ગુજરાતમાં થાય તો ખરેખર અનેક માતાઓના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. બાળકોને સોશિયલ મીડિયા અને મોબાઇલના વિશ્વમાંથી કેવી રીતે બહાર લાવવા તેનો સચોટ જવાબ જનની પાસે જ છે.
સંયુક્ત પરિવારનો સરવે
જનનીમાં નિત નવા અભિગમો અપનાવવામાં આવે છે. આ વર્ષે અમે નક્કી કર્યું છે જોઇન્ટ ફેમિલીમાં જે રહેતું હોય તેનો સરવે કરવાનો અને સંયુક્ત પરિવારમાં રહેતી હોય તેવી તમામ મહિલાઓ, એટલે કે એક જ ઘરમાં જો દેરાણી-જેઠાણી સાસુ હોય તો તે દરેક મહિલાઓ, માતાઓનું સન્માન કરીશું, કારણ કે બાળકના યોગ્ય ઉછેર માટે સંયુક્ત પરિવાર મહત્ત્વનો ભાગ ભજવે છે. જે બાળક સંયુક્ત પરિવારમાં ઉછરે છે તેનાં વર્તન, સંસ્કારમાં ઘણો ફેર હોય છે. આ કાર્યક્રમ દ્વારા વિભક્ત કુટુંબની ભાવનાને તોડવાનો પણ એક પ્રયાસ છે.