પુર્વે કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનું કમળ પકડી લીધુ છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જિતિન પ્રસાદને ભાજપની સદસ્યતા અપાવી. રાહુલગાંધીના નજીક માનવામાં આવતા જિતિન પ્રસાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા જીતેન્દ્ર પ્રસાદના દિકરા છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસની કમાન પ્રિયંકાગાંધીએ જ્યારથી તેમના હાથમાં લીધી ત્યારથી જિતિન પ્રસાદ તેમના વિસ્તારમાં સાઇડલાઇન ચાલી રહ્યા હતા. અને તેને લીધે હવે ૨૦૨૨ની ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસને અલવિદા કરી દીધુ છે. આ કોંગ્રસ માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે.
જિતિન પ્રસાદ વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની ચર્ચાઓ હતી. પણ તે વખતે તેમણે પાર્ટી છોડી ન હતી., જો કે આ ચર્ચા એટલી વધી ગઇ કે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને સામે આવીને સફાઇ આપવી પડી હતી કે જિતિન પાર્ટી છોડી રહ્યા નથી. જો કે જિતિન પ્રસાદ તે પછી પણ સામે આવ્યા ન હતા. પણ હવે બે વર્ષ બાદ તેમણે આખરે કોંગ્રેસને છોડીને ભાજપમાં સામેલ થવાનું પગલું ભરી દીધુ છે.
પ્રિયંકા ગાંધીના લીધે જિતિન સાઇડલાઇન
યુપીના રાજકારણમાં જિતિન પ્રસાદને એક કદ્દાવર નેતા માનવામાં આવે છે. પણ જ્યારથી પ્રિયંકાગાંધીની રાજકીય દખલ વધી ત્યારથી તેમને કોંગ્રેસમાં એ મહત્વ નહોતું મળી રહ્યું જેવું રાહુલગાંધીના સમયમાં મળી રહ્યુ હતું. કોંગ્રેસના નેતૃત્વવાળુ યુપીએ-રમાં જે રીતે સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિંયાનું રાજકીય વર્ચસ્વ કાયમ હતું. તેવી જ રીતે જિતિન પ્રસાદનો પણ ભારે દબદબો હતો.
જિતિન પ્રસાદને ગાંધી પરિવારની એકદમ નજીક માનવામાં આવતા હતા અને યુપીના તમામ રાજકીય નિર્ણયોમાં તેમની દખલ થતી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મળેલી હારની જવાબદારી લેતા રાજબબ્બરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધુ હતું. તે પછી જિતિન પ્રસાદને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની ચર્ચાઓ વધી ગઇ હતી. પણ પ્રિયંકાગાંધીએ જિતિનના બદલે અજય લલ્લુને પાર્ટીની કમાન સોપી દીધી હતી. એટલું જ નહી તેમને યુપીના નિર્ણયોથી દુર રાખવામાં આવતા હતા અને તેમના નજીકના નેતાઓને પણ જીલ્લા સંગઠનના પદથી હટાવી દેવાયા હતા.
કોંગ્રેસના આ નિર્ણય પછી જિતિન પ્રસાદ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. પણ પાર્ટીએ તેમને ઝકડી રાખવા માટે યુપીની બહાર બંગાળમાં પાર્ટી પ્રભારી બનાવીને મોકલી દીધા હતા. જો કે બંગાળની ચૂંટણી પછી કોંગ્રેસથી તેમનો મોહભંગ થઇ ગયો અને તેમના રાજકીય ભવિષ્યને જોતા તેમણે ભાજપની સદસ્યતા મેળવી લીધી.
જિતિન પ્રસાદની રાજકીય સફર
પુર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રાજકીય સલાહકાર જિતેન્દ્ર પ્રસાદના પુત્ર જિતિન પ્રસાદની રાજકીય સફર લગભગ ૨૦ વર્ષ જૂની છે. જિતિન પ્રસાદે તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત ૨૦૦૧માં શરૂ કરી હતી. તે દરમિયાન તેઓ યૂથકોંગ્રેસમાં સચિવ બન્યા હતા. તે પછી ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં તેઓ તેમની ગૃહ લોકસભા બેઠક શાહ જહાંપુરથી જીતીને સંસદમાં પહોચ્યા હતા. વર્ષ ૨૦૦૮માં અખિલેશ દાસને હટાવીને કોંગ્રેસ હાઇકમાને પહેલીવાર જિતિન પ્રસાદ કેન્દ્રિય રાજ્ય મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા. તે પછી ૨૦૦૯માં જિતિન પ્રસાદે ધૌરહરા બેઠકથી લોકસભા ચૂંટણી લડી અને જીત મેળવી. તેઓ ૨૦૦૯-૧૧ સુધી માર્ગ અને પરિવહન મંત્રી રહ્યા. તે પછી ૨૦૧૧-૧૨ સુધી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાયલ અને ૨૦૧૨-૧૪ સુધી માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. પણ તે પછી તેઓ ફરીથી ચૂંટણી ન જીતી શક્યા. કોંગ્રેસે જિતિન પ્રસાદને ૨૦૧૪માં ધૌરહારા બેઠકથી ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા પણ તેઓ જીત ન નોંધાવી શક્યા. ૨૦૧૭માં તિલહર વિધાનસભા બેઠકથી તેઓ ચૂંટણી લડ્યા. પણ ફરીથી હારી ગયા. તે પછી પ્રિયંકા ગાંધીએ જિતિન પ્રસાદને મહત્વ ન આપ્યું. જેનાથી તેઓ નારાજ હતા.
જિતિનને વિરાસતમાં મળ્યુ છે રાજકારણ
જિતિન પ્રસાદનો જન્મ ૨૯ નવેમ્બર ૧૯૭૩ના દિવસે યુપીના શાહજહાંપુરમાં થયો હતો., તેમણે તેમનું ભણતર દહેરાદૂનની દૂન સ્કુલમાંથી લીધું. પછી તેઓ દિલ્હી આવી ગયા. અને શ્રીરામ કોલેજ ઓફ કોમર્સીમાંથી બીકોમ કર્યું. તે પછી તેમણે દિલ્હીમાં એમબીએ કર્યું. ફેબ્રુઆરી ૨૦૧૦માં જિતિન પ્રસાદે પુર્વ પત્રકાર નેહા શેઠ સાથે લગ્ન કર્યા હતા.
જિતિન પ્રસાદના દાદા જ્યોતિ પ્રસાદ કોંગ્રેસના નેતા હતા અને તેમની દાદી પામેલા પ્રસાદ કપૂરથલાના રોય શિખ પરિવારમાંથી હતી. જિતેન્દ્ર પ્રસાદ ભારતના પુર્વ વડાપ્રધાન ઇન્દિરાગાંધીથી લઇને રાજીવગાંધી અને પીવી નરસિમ્હારાવના રાજકીય સલાહકાર રહી ચૂક્યા છે. જીતેન્દ્ર પ્રસાદ યુપી કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એટલું જ નહી સોનિયા ગાંધીના વિરૂદ્ધમાં કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પણ જીતેન્દ્ર પ્રસાદ લડ્યા હતા. આ રીતે જિતિન પ્રસાદને રાજકારણ વિરાસતમાં મળ્યુ છે. તેઓ કોંગ્રેસમાં રહેતા બે વાર સાંસદ અને મનમહોનસિંહની બંને સરકારમાં કેન્દ્રિય મંત્રી રહ્યા છે. અને હવે તેઓ તેમની રાજકીય ઇનિંગ ભાજપની પિચ પર રમશે.