કેશોદ,
કેશોદમાં ગેરકાયદેસર દબાણ કરતાં લોકો સામે કાર્યવાહી કરવા માટે તંત્ર સફાળુ જાગી ઉઠ્યું છે અને ગેરકાયદેસર બાંધકામ કરનારોને નોટિસ આપી છે.
ઉલ્લેખનીય છે કે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં સરકારી ખરાબા અને પડતર જ્ગ્યાએ ભૂમાફિયા દ્વારા પચાવી લેવામાં આવી હતી અને તે જગ્યાના બોગસ દસ્તાવેજ ઉભી કરીને બાંધકામ શરૂ કરવામાં આવી રહ્યું હતું. જેની જાણ એક જાગૃત નાગરિકને થતાં તેને નગરપાલિકામાં જાણ કરી હતી..
કેશોદ શહેરના શહેરીજનોમાં લોકમાગ ઉઠવા લાગી છે કે નગરપાલિકા વિસ્તારમાં વિવાદાસ્પદ ગેરકાયદેસર બાધકામો અને દબાણો દુર કરવા ઝુંબેશ ચલાવવામાં આવે.
કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજૂભાઈ પંડયાએ જુનાગઢ જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ કરી ગેરકાયદેસર ભાડે વેચાણ થી આપેલી સરકારી જમીનો ઉપરાંત ટાઉન પ્લાનિંગ સમિતિ દ્વારા બહુમતી એ આપેલી ગેરકાયદેસર બાધકામની મંજૂરી સામે મનાઈહુકમ માગ્યો હતો.
જેમાં જિલ્લા કલેકટર દ્વારા કાયમી ધોરણે મનાઈહુકમ આપી તમામ ગેરકાયદેસર બાધકામો દબાણો દૂર કરવા કેશોદ નગરપાલિકા ચીફ ઓફીસરને આદેશ કર્યો હતો ત્યારે માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવ્યો છે.
કેશોદ નગરપાલિકાના કડક ચીફ ઓફીસર ગંગા સિંહ દ્વારા આવા ગેરકાયદેસર ત્રણસોથી વધારે બાધકામો અને દબાણો દુર કરવામાં આવે તો શહેરમાં વાહન પાર્કિંગની સમસ્યા હળવી બની જાય. કેશોદ શહેર મધ્યેથી પસાર થતી ટીલોળી નદી અને ઉતાવળીયા નદીના વહેણની અંદર ભૂમાફીયાઓ દ્વારા દબાણો કરીને અસ્તિત્વ નાશ કરવા લાગ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે એની ચર્ચા શહેરમાં ચાલી રહી છે.