દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકના નિધન બાદ બોલિવૂડમાં વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘જય હો’માં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા સમીર ખાખરનું નિધન થયું છે. તેમણે બુધવારે સવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 71 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થવાના કારણે તેમનું મોત થયું છે.
સમીર ખાખરના નાના ભાઈ ગણેશ ખાખરે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. ગણેશના જણાવ્યા અનુસાર, સમીરને મંગળવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યારબાદ તેમને બોરીવલીના એમએમમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે કહે છે, “ગઈકાલથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. બાદમાં તેઓ બેભાન થઈ ગયો. અમે ડોક્ટરોને ઘરે બોલાવ્યા, જેમણે અમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી. તેમને એમએમ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. ધીમે-ધીમે બધા અવયવો ખરાબ થઈ ગયા. તેમના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું અને તેઓ બેભાન થઈ ગયા. આજે સવારે 4:30 વાગ્યે તેમનું અવસાન થયું.”
ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજુ સતીશ કૌશિકના દુઃખદ અવસાનમાંથી બહાર આવી નહોતી કે હવે સમીર ખાખરના અવસાનથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમીર તેમની પાછળ તેમની પત્નીને છોડી ગયા છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના બોરીવલીમાં સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.
સમીર સિરિયલ ‘નુક્કડ’માં ખોપડી નામ પાત્ર ભજવવા માટે જાણીતા હતા. તેમણે શાહરૂખ ખાન સ્ટારર ‘સર્કસ’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. સીરિયલ ‘શ્રીમાન શ્રીમતી’માં સમીરનો ટોટોનો રોલ પણ ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. ફિલ્મના મોરચે, તે કમલ હાસન સ્ટારર ‘પુષ્પક’, મિથુન ચક્રવર્તી સ્ટારર ‘ગુરુ’, ગોવિંદા સ્ટારર ‘રાજા બાબુ’ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ‘હસી તો ફસી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. સલમાન ખાન અભિનીત ‘જય હો’ માં, તેમણે એક શરાબીનું પાત્ર ભજવ્યું હતું જે ઓટો ડ્રાઈવર બનેલા મહેશ માંજરેકરને તેની પુત્રીની ફી ચૂકવવા માટે પૈસા આપે છે.
આ પણ વાંચો:યુટ્યુબર જોરાવર સિંહ કલસીએ ચાલુ ગાડીની ડિકીમાંથી નોટ ઉડાવી પડી ભારે, થઇ આ કાર્યવાહી
આ પણ વાંચો:ઓસ્કાર વિજેતાને એક પણ રૂપિયો નથી મળતો, છતાં સિનેમા જગતનો સૌથી મોટો એવોર્ડ કેમ?
આ પણ વાંચો:ઓસ્કર 2023માં જુનિયર એનટીઆરનો લૂક છવાયો
આ પણ વાંચો:શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કર જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ અંગે જાણો