ભુજ,
ભુજમાં રખડતી ગાયના કારણે મોટર સાયકલ પર જઈ રહેલાં 35 વર્ષિય યુવકનું અકાળે મોત થતા શહેરીજનોમાં આક્રોશ ફેલાયો છે. જેને પગલે ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિત કોંગ્રેસી નગરસેવકોએ વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતા સહિતના નગરસેવકો ઘાસચારો લઈ પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઑફિસરની ચેમ્બરમાં રજૂઆત કરવા ગયા હતા.
જો કે, કોઈ હાજર ના હોઈ તેમની ચેમ્બરમાં ચારો મુકી પરત ફર્યાં હતા. ત્યારબાદ ભાજપ કાર્યાલય બહાર પણ ઘાસચારા સાથે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરની સમસ્યા વકરી છે.
ભૂતકાળમાં જાહેરમાં ચારો વેચનારાં લોકો સામે કડક કાર્યવાહી કરવા અને રખડતાં ઢોરને પાંજરાપોળમાં મુકવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યુ છે પરંતુ પાલિકાના શાસકો નિયમનું પાલન નથી કરાવતા.
રખડતાં ઢોરથી માણસો મરી રહ્યાં છે પરંતુ ભાજપશાસિત પાલિકાના પદાધિકારીઓને રખડતાં ઢોરની સમસ્યા દેખાતી જ નથી. પાલિકાએ રખડતા ઢોર માટે 10 લાખ ખર્ચીને ઢોરવાડો બનાવ્યો હતો પણ તેમાં ઢોર પૂરાતા નથી.