Dharma: હોળી (Holi) રંગોનો તહેવાર છે, આ તહેવારમાં લોકો એક બીજાને રંગ લગાવીને પોતાના મતભેદ દૂર કરે છે અને ખુશીથી એક બીજાને ગળે લગાવે છે. હિંદુ ધર્મ માટે ફક્ત હોળી એક તહેવાર જ નહીં, પરંતુ હિંદુ ધર્મની આગવી પરંપરા છે અને તેનું મહત્વ પર્યાવરણ સાથે પણ જોડાયેલું છે. તો આજે જાણીએ તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.

રંગોના તહેવાર સાથે જોડાયેલ વૈજ્ઞાનિક તથ્ય
હોળીનો તહેવાર એવા સમયે આવે છે જ્યારે શિયાળો જવાના આરે હોય અને ઉનાળાના પગરવ સંભળાતા હોય છે, ઋતુ પરિવર્તનનાં કારણે શરીરમાં સુસ્તી અને થાક જોવા મળે છે જેને દૂર કરવા માટે લોકો ફાગણ મહિનામાં રંગ અને પાણી સાથે હરખ અને ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જો તાર્કિક રીતે જોઇએ તો હોલિકા દહન કરવાથી 145 ડિગ્રી ફેરનહિટ સુધી તપમાનમાં વધારો થાય છે. આથી હોળીની પરંપરા દરમિયાન હોળીમાંથી નીકળતી અગ્નિ શરીરમાં અને વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે અને આ રીતે હોલિકા દહનથી શરીર અને પર્યાવરણ સુરક્ષિત રહે છે. દક્ષિણ ભારતમાં તો હોળી ઓલવાઈ ગયા બાદ પણ તેની રાખને લોકો વિભૂતિ તરીકે પોતાના માથા પર લાગવે છે, તે સિવાય તે વિભૂતિને આંબાના મોર પર લગાવીને તેનું સેવન કરે છે.

હોળીનું પૌરાણિક મહત્વ
પ્રચલિત હિંદુ માન્યતાઓ અનુસાર શ્રીમદ ભાગવતનાં સાતમા સ્કંધપુરાણમાં હિરણ્યકશ્યપ નામના અસુરની કથાનું વર્ણન કરાયું છે. તેને ખૂબ તપ કરીને બ્રહ્માજી પાસેથી અમર થવાનું વરદાન માંગ્યું હતું. બ્રહ્માજીએ વરદાન તો આપ્યું પરંતુ તે વરદાનનો ખોટો લાભ ઉઠાવતા હિરણ્યકશ્યપએ ત્રણેય લોક, દેવો, ગંધર્વો, મનુષ્યો અને પશુઓનું જીવવું અઘરું કર્યું હતું. સૌ તેના ત્રાસથી કંટાળી ગયા હતા. તેઓ જ્યારે પોતાની સમસ્યા લઈને બ્રહ્માજી પાસે ગયા ત્યારે તેમને આશ્વાસન આપતા કહ્યું ‘ તમે કોઈ ગભરાશો નહીં, હું આ અસુરને જાણું છું તમે થોડી રાહ જુઓ હું તેનો વિનાશ કરી દઇશ.’

હિરણ્યકશ્યપને 3 પુત્રો હતા અને ચોથા પુત્ર તરીકે ભક્ત પ્રહલાદનો જન્મ થયો, હિરણ્યકશ્યપના ત્રણે પુત્રો અસુરવિદ્યામાં પારંગત હતા જ્યારે તેણે પ્રહલાદને અસુરોના ગુરુ શુક્રાચાર્યના બે પુત્રો (શંડ અને અમર્ક) સાથે આસુરીવિદ્યા શીખવા મોકલ્યા ત્યારે પ્રહલાદનું મન આસુરી જ્ઞાન શીખવામાં બિલકુલ નહોતું લાગતું, તે દરેક ક્ષણે શ્રીહરિનું સ્મરણ કરતો હતો. જેનાથી કંટાળીને શંડ અને અમર્કે તેના પિતા હિરણ્યકશ્યપને વાત કરી હિરણ્યકશ્યપએ પ્રહલાદને ખોળામાં બેસાડીને સમજાવ્યું, પરંતુ પ્રહલાદની દલીલો સાંભળીને હિરણ્યકશ્યપને નવાઈ લાગી કે મારા જેવા અસુરના ઘરે મારા કટ્ટર દુશ્મન વિષ્ણુનો ભક્ત ક્યાંથી જન્મી શકે?
તેણે શ્રીહરી પ્રત્યે પોતાની ભક્તિ જોઈ પોતાનું સિંહાસન ડગમગતું દેખાયું. તેથી તેને સિંહાસનનાં મોહમાં આવીને પોતાના જ પુત્ર પ્રહલાદને મોતને ઘાટ ઉતારવાના ષડયંત્રો રચ્યા. ત્રિશુળના ઘા કર્યા, હાથીના પગ નીચે કચડાવ્યો, ઝેરી સાપનો ડંખ દીધો, ઊંચા પર્વતની ટોચ પરથી ખીણમાં ફેંક્યો. પણ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે?? તે જ રીતે બધું કર્યા પછી પણ પ્રહલાદનો વાળ પણ વાંકો ના થયો. અંતે તેણે પોતાની બહેન હોલિકા (જે પોતે અગ્નિ સ્વરૂપ હતી) તેના ખોળામાં બેસાડીને તેના ફરતે આગ ચાંપી. પરંતુ તે અગ્નિથી હોલિકા પોતે ભસ્મ થઈ ગઈ અને ભગવાને ફરીથી પ્રહલાદની રક્ષા કરી, જેનાથી ફરી એક વાર સાબિત થયું કે જે ભક્તએ પોતાની જાત પ્રભુને સમર્પિત કરે છે પ્રભુ હંમેશા તેની પડખે રહીને તેની રક્ષા કરે છે અને અસત્ય ગમે તેટલું મોટું હોય પણ અંતમાં જીત સત્યની જ થાય છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:હોળાષ્ટક ક્યારથી શરૂ થાય છે? આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું
આ પણ વાંચો:હોળાષ્ટકના 8 દિવસોમાં ભદ્રાના આ નામનું કરો સ્મરણ, મુસિબતો થશે દૂર
આ પણ વાંચો:વર્ષ 2025માં ઘર બનાવવા માટે કયો મહિનો શ્રેષ્ઠ અને શુભ રહેશે….
