- ડ્રાઇવર-કંડકટરને દીવા ચાલુ રાખીને સૂવુ ભારે પડ્યું
- ઠંડીના લીધે આગની જ્વાળાઓની ખબર જ ના પડી
દિવાળીના સમયમાં રાત્રે ઝગમગતી રોશની ચાલુ રાખવા માટે દીવા ચાલુ રાખીને સૂતા પહેલા ચેતજો, ઝારખંડમાં આવા જ એક બનાવમાં બેના મોત થયા હતા. ઝારખંડમાં દિવાળીની રાત્રે રાંચીના ખાદગઢા બસ સ્ટેન્ડ ખાતે એક કરુણ ઘટના સર્જાઇ હતી.
અહીં દિવાળીની રાત્રે મૂનલાઇટ નામની બસમાં આગ લાગી ગઇ હતી જેમાં બસના કંડકટર અને ડ્રાઇવરનું મોત થયું હતું. બંને મૃતકો બસમાં સૂઈ રહ્યા હતા. મૃતકોની ઓળખ મદન મહતો અને ઇબ્રાહિમના રૂપમાં થઇ છે. ઘટના મોડી રાત્રે સર્જાઇ હતી.
હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આ બસ રાંચીથી સિમડેગા વચ્ચે ચાલતી હતી. પોલીસે જણાવ્યું હતું કે દિવાળીની રાત્રે બસમાં દીવો પ્રગટાવીને રાખવાને કારણે આગ લાગી હતી. બસ સ્ટેન્ડમાં પાર્ક બસમાં દિવાળીની રાત્રે પૂજા કર્યા બાદ ડ્રાઇવર મદન અને ઇબ્રાહિમે દીવો પ્રગટાવ્યો હતો અને તેઓ નિત્ય ક્રમ અનુસાર બસમાં જ સૂઈ ગયા હતા. ત્યારે જ દીવાને કારણે બસમાં આગ લાગી ગઇ હતી.
આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે તેણે જોત-જોતામાં જ બસને પોતાની ચપેટમાં લઇ લીધી હતી. જેના કારણે બસની અંદર સૂઇ રહેલા ડ્રાઇવર અને કંડક્ટરનાં મોત થયાં હતાં. બસમાં આગ લાગેલી જોઇને લોકોએ પોલીસને સૂચના આપી હતી. પોલીસ પહોંચે તે પહેલાં લોકોએ આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું તેઓને નિષ્ફળતા સાંપડી હતી અને બસની અંદર રહેલા બંને લોકોનાં મોત થયાં હતાં.