અમદાવાદ,
વજનદાર થઇ ગયેલાં જાડિયા લોકો ભલે જીમ કે ઘરમાં કસરત કરીને વજન ઘટાડવાની કોશિષ કરતાં હોય પરંતું આજે પણ અનેક તબીબો કે ડાયેટીશ્યન એવું માને છે કે ચરબી ઘટાડવા માટે ચાલવું એ બેસ્ટ એક્સરસાઇઝ છે.ટુંકમાં, જો જીમ અથવા એક્સરસાઇઝ વગર ફિટ રહેવા માંગો છો, તો ઝડપથી ચાલવાનું શરૂ કરો. ઝડપી ચાલવાથી માત્ર તમે ફિટ જ નહીં પણ હૃદયથી જોડાયેલી બિમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. એક સંશોધન મુજબ, સરેરાશ ગતિથી ચાલવાથી હૃદય સંબંધિત બિમારીઓના મૃત્યુદરમાં 21 ટકા ઘટાડો થાય છે અને તીવ્ર ગતિએ ચાલનારા લોકોની મૃત્યુદર 24 ટકા ઓછો જોવા મળ્યો છે.
ધીરે ધીરે ચાલવાની સરખામણીમાં સરેરાશ ગતિથી ચાલવામાં બધા પ્રકારના મૃત્યુદરમાં 20 ટકા ઘટાડો થાય છે, જ્યારે ઝડપી ગતિથી ચાલવાથી 24 ટકા ઓછું થાય છે.
સિડની યુનિવર્સિટીના ચાર્લ્સ પરકિન્સ સેન્ટર અને સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર એમાનુએલ સ્ટામાટેકિસે કહ્યું કે અભ્યાસના પરિણામો પરથી એવું સામે આવ્યું છે કે વધુ પડતી કસરતથી ઘણીવાર બોડી માસ ઇન્ડેક્સ પર કોઈ અસર જોવા મળતી નથી,પરંતું સરેરાશ અથવા તીવ્ર ગતિથી ચાલવું, બધા પ્રકારના મૃત્યુદરના જોખમને ખાસ કરીને ઘટાડે છે.આના કારણે વજન પણ ઘટે છે.
તેમણે કહ્યું, “તીવ્ર ગતિથી ચાલો તો સામાન્ય રીતે પાંચ થી સાત કિમી પ્રતિ કલાક થાય છે, પરંતુ તે ખરેખર ચાલનારની ફિટનેસ સ્તર પર આધાર રાખે છે. વજન ઓછું કરવા માટે તીવ્ર ગતિથી ચાલવું જરૂરી નથી પરંતું રીધમમાં ચાલવાથી વજન ઘટી શકે છે.