જામનગર શહેરનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠાની વ્યાપક ફરીયાદો બાદ આખરે વીજતંત્ર સામે લોકોએ આક્રોશ વર્તાવ્યો હતો. દર વર્ષે ચોમાસા પૂર્વે લાખો રૂપિયા ખર્ચે કરવામાં આવતી પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હોય તેમ લોકોએ વીજ પુરવઠા કચેરીનો ઘેરાવ કરી તંત્રની નબળી અને અનિયમિત મળતા વીજ પુરવઠા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જામનગરનાં નગરસીમ વિસ્તારનાં લોકો મોટી સંખ્યામાં PGVCLની મુખ્ય કચેરી ખાતે દોડી આવ્યા હતા અને અનિયમિત તેમજ અપૂરતા વીજ પુરવઠા મુદ્દે કચેરીનો ઘેરાવ કર્યો હતો. વોર્ડ નંબર 12નાં કોર્પોરેટર અસલમ ખીલજી સહિતના આગેવાનોએ લોકોને સાથે રાખી PGVCLના અધિક્ષકને ઉગ્ર રજુઆત કરી હતી અને કાલાવડ નાકા બહાર આવેલ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો અનેક વખત અનિયમિત અને અપૂરતો મળતો હોય, તેમજ લોકોના ઘરોમાં વીજ ઉપકરણોને ભારે નુકશાન થતું હોવાની ફરીયાદો કરી હતી. હજુ તો ચોમાસુ શરૂ થયું છે ત્યારે વીજ પુરવઠો ન મળતા લોકોમાં આક્રોશ જન્મ્યો છે. એટલું જ નહીં વર્ષના 365 દિવસ નગરસીમ વિસ્તારોમાં આ જ સમસ્યા હોવાની લોકોએ રજુઆત કરી હતી. ત્યારે આગામી દિવસોમાં પૂરતો અને નિયમિત વીજ પુરવઠો નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આગેવાને ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : અમદાવાદ અને જામનગરમાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ વિકાસનાં ૩૦પ૦ કામો કરાયા મંજુર